પોલિટિક્સ

સુરતથી 100 ગાડીઓના કાફલા સાથે કોળી સમાજ ભાવનગર પહોંચ્યો, નવનીતને મળ્યા ઋષિભારતી બાપુ

બગદાણાના સેવક નવનીતભાઈ બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના વિરોધમાં હવે કોળી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં ગુંજી રહ્યા છે. ન્યાયની માંગ સાથે સુરતથી કોળી સમાજનો વિશાળ કાફલો ભાવનગર પહોંચતા મામલો વધુ ગરમાયો છે.

આજે સુરતથી લગભગ 100 જેટલી ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો અને કાર્યકરો ભાવનગરની નારી ચોકડી ખાતે આવી પહોંચ્યા હતા. અહીં મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્ર થયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

મહુવા હોસ્પિટલમાં નવનીતભાઈની મુલાકાત

નારી ચોકડી ખાતે યુવા અગ્રણી ચિરાગ ઝાલા, પિન્ટુ કોળી, શૈલેષભાઇ મેર તેમજ સાધુ-સંતોમાં ઋષિભારતી બાપુની આગેવાનીમાં સમાજના અગ્રણીઓ એકત્ર થયા હતા. ત્યારબાદ સમગ્ર કાફલો સીધો મહુવા હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં સારવાર હેઠળ રહેલા પીડિત નવનીતભાઈ બાલધિયાની મુલાકાત લીધી હતી અને તેમની હાલત અંગે માહિતી મેળવી હતી.

સમાજના આગેવાનોએ નવનીતભાઈને ન્યાય અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેમના પરિવારજનોને પણ ધીરજ રાખવાની અપીલ કરી હતી.

મુખ્ય આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે

નવનીતભાઈ બાલધિયા કેસની ગંભીરતા જોતા પોલીસ વિભાગ દ્વારા SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરવામાં આવી છે. SIT દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ કોળી સમાજ આ તપાસથી સંતોષ વ્યક્ત કરી રહ્યો નથી.

સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે હજુ સુધી કેસના મુખ્ય સૂત્રધારનું નામ પોલીસ ફરિયાદમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું નથી. તેઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી મુખ્ય આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને જો જરૂરી બનશે તો આ લડત વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

ઋષિભારતી બાપુના સરકાર પર આકરા પ્રહારો

આ પ્રસંગે ઋષિભારતી બાપુએ સરકારની કામગીરી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે નામ લીધા વિના સરકાર અને તંત્રને નિશાન બનાવતાં જણાવ્યું હતું કે, સમાજને ન્યાય મળ્યા વગર આ લડત અટકશે નહીં. તેમણે ચેતવણી આપી હતી કે જો ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ કરવામાં આવશે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મહુવા અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે અને સમગ્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

કોળી સમાજની આ એકતાને કારણે તંત્ર પર દબાણ સતત વધી રહ્યું છે અને સમગ્ર રાજ્યનું ધ્યાન હવે નવનીતભાઈ બાલધિયા કેસ તરફ કેન્દ્રિત થયું છે.

તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.

whatsapp Join WhatsApp Group

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video