આપણું ગુજરાત

ખેડૂતો બાદ હવે શિક્ષકોનું પણ રાજ્યવ્યાપી આંદોલન: 20 જૂન સુધી ધરણા-પ્રદર્શન, TET મુદ્દે સુપ્રીમના નિર્ણય સામે વિરોધ

રાજ્યમાં ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષકો પણ વિરોધના મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ શિક્ષકો માટે TET (ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ) પાસ કરવી ફરજિયાત બનાવવાના નિર્ણય સામે શિક્ષક સંગઠનો દ્વારા રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે 17 જૂનથી 20 જૂન સુધી તમામ જિલ્લાઓમાં ધરણા-પ્રદર્શન અને આવેદનપત્ર કાર્યક્રમો યોજવાનો નિર્ણય કર્યો છે.

શિક્ષક સંગઠનોનું કહેવું છે કે 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોની નિમણૂક તે સમયના નિયમો મુજબ થઈ હતી અને તે સમયે TET પરીક્ષા અસ્તિત્વમાં જ નહોતી. તેથી વર્ષો સુધી સેવા આપ્યા બાદ હવે TET ફરજિયાત બનાવવી યોગ્ય નથી. સંગઠનોનું માનવું છે કે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી હજારો અનુભવી શિક્ષકોના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.

અમદાવાદ સહિત તમામ જિલ્લાઓમાં ધરણા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શિક્ષક મંડળ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા 17 જૂને કલેક્ટર કચેરી ખાતે ધરણા-પ્રદર્શન કરીને આવેદનપત્ર આપવામાં આવશે. બીજી તરફ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા 20 જૂને રાજ્યના તમામ જિલ્લાઓમાં ત્રણ કલાકના ધરણા બાદ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવશે.

શિક્ષક આગેવાનોના જણાવ્યા મુજબ રાજ્યના 33 જિલ્લાઓમાં શિક્ષકો એકત્ર થઈ સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે વિરોધ નોંધાવશે અને 2010 પહેલાંના શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવાની માંગ કરશે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આપેલા મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે શિક્ષણ સેવામાં કાર્યરત તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા TET પરીક્ષા પાસ કરવી ફરજિયાત રહેશે. જે શિક્ષકોની નિવૃત્તિને પાંચ વર્ષથી વધુ સમય બાકી છે તેઓએ TET પાસ કરવી પડશે. જો તેઓ TET પાસ નહીં કરે તો તેમને રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ સ્વીકારવી પડશે. જોકે નિવૃત્તિમાં માત્ર પાંચ વર્ષ કે તેથી ઓછો સમય બાકી હોય તેવા શિક્ષકોને રાહત આપવામાં આવી છે.

એક લાખથી વધુ શિક્ષકો પર અસરનો દાવો

શિક્ષક સંગઠનોના જણાવ્યા અનુસાર રાજ્યમાં 2010 પહેલાં ભરતી થયેલા અંદાજે એક લાખ શિક્ષકો પર આ નિર્ણયની સીધી અસર પડશે. સંગઠનોનું કહેવું છે કે 25થી 27 વર્ષથી સેવા આપતા શિક્ષકોને હવે TET પરીક્ષા આપવાની ફરજ પાડવી અન્યાય સમાન છે.

અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ખોડુભાઈ પઢિયારે જણાવ્યું કે, “અમારી ભરતી 1997-98થી સરકારના નિયમો મુજબ થઈ હતી. તે સમયે TET પરીક્ષાનો કોઈ નિયમ નહોતો. હવે વર્ષો પછી આ પરીક્ષા ફરજિયાત બનાવવામાં આવી રહી છે, જે શિક્ષકો માટે અન્યાયપૂર્ણ છે.”

જૂની પેન્શન યોજના સહિત અન્ય માંગણીઓ

TET મુદ્દા ઉપરાંત શિક્ષક સંગઠનો અન્ય અનેક માંગણીઓ પણ ઉઠાવશે. તેમાં 1 એપ્રિલ 2005 બાદ ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની માંગ મુખ્ય છે. ઉપરાંત ધોરણ 6થી 8ના શિક્ષકોને અલગ ગ્રેડ પે આપવાની અને HTAT આચાર્યોને વધારાની શાળાનો ચાર્જ આપવાની પ્રથામાં ફેરફાર કરવાની માંગ પણ કરવામાં આવશે.

H-TAT ભરતીની પણ માંગ ઉઠી

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજ્યમાં H-TAT શિક્ષકો અને આચાર્યોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાની માંગ પણ કરી છે. મહાસંઘના મહામંત્રી પરેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં 7 હજારથી વધુ શિક્ષકો અને આચાર્યો પર વધારાનો વહીવટી બોજ છે. અનેક શાળાઓમાં એક જ આચાર્યને બે કે તેથી વધુ શાળાઓનો ચાર્જ સંભાળવો પડે છે, જેના કારણે શિક્ષણની ગુણવત્તા અને વહીવટી કામગીરી બંને પ્રભાવિત થઈ રહી છે.

શિક્ષક સંગઠનોના આંદોલનને કારણે આગામી દિવસોમાં રાજ્યમાં શિક્ષણ સંબંધિત મુદ્દાઓ પર રાજકીય અને સામાજિક ચર્ચા વધુ તેજ બનવાની શક્યતા છે. 17 જૂનથી શરૂ થનારા આ વિરોધ કાર્યક્રમો દરમિયાન સરકાર અને શિક્ષક સંગઠનો વચ્ચે કોઈ સમાધાન થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.

Exit mobile version