ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 137 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. આજે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં જ 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં સવારથી ભારે વરસાદ વરસતાં શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માત્ર બે કલાકમાં શહેરના કેટલાક વિસ્તારોમાં દોઢથી બે ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. થલતેજ, સાયન્સ સિટી, ચાણક્યપુરી, ચાંદલોડિયા, બોડકદેવ, વસ્ત્રાપુર, મેમનગર સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે.
અમદાવાદમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત
અમદાવાદમાં મોડીરાતથી જ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. સાયન્સ સિટી અને થલતેજ વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે વસ્ત્રાપુર, બોડકદેવ, મેમનગર, ઘાટલોડિયા અને ચાંદલોડિયામાં પણ એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
સામાન્ય વરસાદમાં જ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. એસજી હાઇવેના થલતેજ સર્વિસ રોડ પર કારના અડધાથી વધુ ટાયર ડૂબી જાય તેટલું પાણી ભરાયું છે. અનેક ટુ-વ્હીલર પાણીમાં બંધ પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
ચાણક્યપુરી વિસ્તારમાં તો કમર સુધીના પાણી ભરાઈ જતાં રસ્તો જાણે તળાવમાં ફેરવાઈ ગયો હતો. ચાંદલોડિયા માર્ગ, આર્યન બંગલોઝ અને સમરસ હોસ્ટેલ પાસે પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે. સ્ટર્લિંગ સિટી સેક્ટર A અને Bમાં પાણી ઘરો સુધી પહોંચી જતાં રહીશોએ ફર્નિચર અને ઘરવખરીનો સામાન સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી.
ધોલેરાનું વણી તળાવ ગામ બેટમાં ફેરવાયું
અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકામાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવકના કારણે વણી તળાવ ગામ ચારેય તરફથી પાણીથી ઘેરાઈ ગયું છે. સમગ્ર ગામ બેટમાં ફેરવાઈ જતાં ગામનો સંપર્ક તૂટ્યો છે.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. NDRFની ટીમ બોટ અને જરૂરી સાધનો સાથે ગામમાં પહોંચી છે અને પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ધંધુકા પંથકમાં પણ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે ધોલેરામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. સોમવાર હોવાથી શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આસ્ટોડિયામાં જર્જરિત મકાન ધરાશાયી
અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારમાં આવેલી ઢાળની પોળની ઉપલી શેરીમાં જર્જરિત મકાન ધરાશાયી થયું છે. ઘટનાની જાણ થતાં મધ્ય ઝોન એસ્ટેટ વિભાગની ટીમે તાત્કાલિક વિસ્તાર કોર્ડન કર્યો હતો. ભયજનક ભાગ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મકાનનો કાટમાળ પડતાં પાર્ક કરેલા વાહનોને નુકસાન પહોંચ્યું છે. જોકે સદ્ભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.
આ ઉપરાંત પકવાન ચાર રસ્તાથી માનસી સર્કલ તરફ જતા માર્ગ પર પણ વૃક્ષ ધરાશાયી થયું છે.
અમદાવાદની શાળાઓ અંગે DEOની તાકીદની સૂચના
અમદાવાદ શહેરમાં વરસાદ બાદ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શાળાઓ માટે તાકીદની સૂચનાઓ આપવામાં આવી છે.
તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર શાળાઓને વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા જણાવાયું છે. શાળા પરિસરમાં પાણી ન ભરાયું હોય અને વાહનવ્યવહાર સુરક્ષિત હોય તેની ખાતરી કર્યા બાદ જ શૈક્ષણિક કાર્ય શરૂ કરવા સૂચના અપાઈ છે.
જો સ્થાનિક પરિસ્થિતિ જોખમી જણાય તો શાળા સંચાલકોને વિદ્યાર્થીઓની સલામતી માટે તાત્કાલિક નિર્ણય લેવા અને વાલીઓને સમયસર જાણ કરવા જણાવાયું છે.
14થી વધુ વિસ્તારોમાં આગામી 3 કલાક માટે ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે આગામી 3 કલાક માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા, વડોદરા, ભાવનગર, અમરેલી, બોટાદ, ગાંધીનગર, નવસારી, વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે.
બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આજે 27 જુલાઈએ વાવ-થરાદ, પાટણ, વડોદરા સહિત 11 જિલ્લાઓ અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
30 જુલાઈથી નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં બનેલી લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવે આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં વધુ એક વેલમાર્ક્ડ લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે.
આ સિસ્ટમની અસર 30 જુલાઈની આસપાસ ગુજરાતમાં જોવા મળી શકે છે. 30 જુલાઈએ છોટાઉદેપુર, ભરૂચ, તાપી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે 1 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં સિઝનનો વરસાદ સામાન્ય કરતાં 12% વધુ
રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો કુલ વરસાદ સામાન્ય કરતાં 12 ટકા વધુ નોંધાયો છે. જ્યારે અમદાવાદમાં સામાન્ય કરતાં 45 ટકા વધુ વરસાદ પડી ચૂક્યો છે.
આગામી દિવસોમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના હોવાથી તંત્રને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group