સુરત: સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલી નક્ષત્ર સેફ હાઉસમાં કરોડો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ગાયબ થવાની ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચાવી છે. ગ્રાહકોના અંદાજે ₹2.67 કરોડના 206 તોલા સોનાના દાગીના ચોરી થઈ ગયાની ફરિયાદ નોંધાતા ખાનગી લોકર વ્યવસ્થાની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
આ ઘટનાના સમાચાર સામે આવતા જ સિંગણપોર ઉપરાંત વરાછા સ્થિત નક્ષત્ર સેફ હાઉસની અન્ય બ્રાન્ચોમાં પણ સેંકડો લોકરધારકો પોતાના દાગીના અને રોકડ સુરક્ષિત છે કે નહીં તે ચકાસવા માટે ઉમટી પડ્યા હતા. ત્રણેય બ્રાન્ચ બહાર લાંબી લાઈનો અને ભારે દોડધામના દૃશ્યો જોવા મળ્યા હતા.
સંચાલક પિતા-પુત્રો પર કાવતરાનો આરોપ
આ સમગ્ર મામલે નક્ષત્ર સેફ હાઉસના સંચાલક મહેશ દિયોરા, તેના બંને પુત્રો હર્ષ દિયોરા અને હરીકૃષ્ણ દિયોરા, તેમજ લોકર તોડવામાં નિષ્ણાત મણીલાલ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આ ચોરી કોઈ સામાન્ય ઘટના નહોતી, પરંતુ ગ્રાહકોના કિંમતી દાગીના હડપ કરવા માટે પૂર્વઆયોજિત ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આરોપીઓએ ગ્રાહકોની ગેરહાજરીમાં અલગ-અલગ સમયે લોકર તોડાવી અંદર રહેલા દાગીના કાઢી બજારમાં વેચવાનો પ્લાન બનાવ્યો હોવાનો આરોપ છે.
સિંગણપોરથી વરાછા સુધી અફરાતફરી
સિંગણપોર બ્રાન્ચમાં ચોરીની માહિતી સોશિયલ મીડિયા અને ન્યૂઝમાં વાયરલ થતાં જ વરાછા સહિતની અન્ય શાખાઓમાં પણ ગ્રાહકોનો ધસારો શરૂ થયો હતો.
ઘણા લોકો પોતાના લોકર ખોલાવી દાગીના અને રોકડ ચકાસવા પહોંચ્યા હતા. કેટલાક લોકરમાં ટેક્નિકલ સમસ્યાઓ આવતાં હોબાળો મચ્યો હતો. પરિસ્થિતિ કાબૂમાં રાખવા માટે વરાછા બ્રાન્ચ પર સ્થાનિક પોલીસને બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.
જે ગ્રાહકોના લોકર ખુલ્યા તેઓએ પોતાના દાગીના અને રોકડ તરત જ બહાર કાઢી અન્યત્ર ખસેડી દીધા હતા.
બે મહિનામાં 63 તોલા સોનું ગાયબ
ફરિયાદી રમેશભાઈ જીવરાજભાઈ વાઘાણીએ જણાવ્યું કે વર્ષ 2020માં તેમની પત્નીના નામે નક્ષત્ર સેફ હાઉસમાં લોકર લીધું હતું અને દર મહિને ₹1,700 ભાડું ચૂકવતા હતા.
8 મે, 2026ના રોજ તેમના સંબંધીઓ લોકર તપાસવા ગયા ત્યારે તમામ દાગીના સુરક્ષિત હતા. પરંતુ જુલાઈ મહિનામાં પરિવારના પ્રસંગ માટે લોકર ખોલતાં માત્ર એક મંગળસૂત્ર, બે કડલી અને ત્રણ વીંટી જ મળી, જ્યારે 63 તોલા સોનાના દાગીના ગાયબ હતા.
CCTV માંગતા મળ્યો ધમકીભર્યો જવાબ
દાગીના ગાયબ હોવાનું જાણવા મળતાં ફરિયાદી પરિવાર 14 જુલાઈએ સેફ હાઉસ પહોંચ્યો અને CCTV ફૂટેજ જોવાની માંગ કરી.
આરોપ છે કે સંચાલક હર્ષ દિયોરા ઉશ્કેરાઈ ગયો અને કહ્યું,
“બધું ગરમ થઈ ગયું છે… મારે કેટલું જોખમ હોય, બધું ઉડી જશે.”
ત્યારબાદ CCTV બતાવવાનું બંધ કરી દેવામાં આવ્યું અને હાર્ડ ડિસ્કમાંથી ડેટા ડિલીટ થઈ ગયો હોવાનું જણાવાયું. આથી ફરિયાદીને શંકા જતાં તેમણે સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.
પિતા-પુત્રોની ધરપકડ
સિંગણપોર-ડભોલી પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 316(2), 316(5) અને 61(2) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસે મુખ્ય આરોપી મહેશ દિયોરા તથા તેના બંને પુત્રો હર્ષ અને હરીકૃષ્ણ દિયોરાની ધરપકડ કરી છે. લોકર બ્રેકર મણીલાલની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે.
વરાછા બ્રાન્ચની પણ તપાસ
પોલીસે સેફ હાઉસમાંથી DVR, ડિજિટલ રજિસ્ટર તથા લોકર તોડવામાં ઉપયોગ થયેલા સાધનો કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
સાથે જ વરાછા બ્રાન્ચમાં પણ આ જ પ્રકારનું કાવતરું રચાયું હતું કે નહીં તેની તપાસ માટે વિશેષ ટીમો કામે લાગી છે.
સુરતમાં ખાનગી સેફ હાઉસનો મોટો ઉપયોગ
સુરતમાં સિંગણપોર, સરથાણા, વરાછા અને મહિધરપુરા વિસ્તારમાં ખાનગી સેફ હાઉસનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે.
ખાસ કરીને બિલ્ડરો, હીરા વેપારીઓ અને વેપારી વર્ગ પોતાના સોના-ચાંદીના દાગીના, હીરા અને રોકડ સુરક્ષિત રાખવા માટે આવા લોકરો ભાડે લે છે. બેંકની સરખામણીએ પ્રક્રિયા સરળ હોવાથી ખાનગી સેફ હાઉસ વધુ લોકપ્રિય બન્યા છે.
લોકર કેવી રીતે ખૂલે?
ખાનગી સેફ હાઉસમાં લોકર ખોલાવવા માટે ગ્રાહકે આધાર કાર્ડ, પાન કાર્ડ અને સરનામાના પુરાવા સાથે અરજી કરવાની હોય છે. લોકરની સાઈઝ પ્રમાણે ભાડું નક્કી થાય છે.
લોકર ખોલતી વખતે બે અલગ ચાવીઓનો ઉપયોગ થાય છે. એક ચાવી સેફ હાઉસના ગાર્ડ પાસે હોય છે અને બીજી લોકરધારક પાસે. બંને ચાવી એકસાથે લગાડ્યા બાદ જ લોકર ખૂલે છે.
શહેરમાં ભયનો માહોલ
નક્ષત્ર સેફ હાઉસમાં સામે આવેલા આ કરોડોના કૌભાંડ બાદ હજારો લોકરધારકોમાં ચિંતા ફેલાઈ છે. સુરતમાં નક્ષત્ર સેફ હાઉસની ત્રણ બ્રાન્ચમાં મળીને 2,500થી વધુ લોકરો હોવાનું માનવામાં આવે છે.
હવે પોલીસ તપાસમાં આ કૌભાંડનો વ્યાપ કેટલો મોટો છે, અન્ય બ્રાન્ચોમાં પણ આવી ચોરી થઈ છે કે નહીં અને ગ્રાહકોનું કેટલું નુકસાન થયું છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group