બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યૂનલે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને માનવતા વિરુદ્ધના ગુનાઓમાં દોષિત જાહેર કર્યા છે. તેમના પર 5 ગંભીર આરોપો—હત્યા, ગુના અટકાવવામાં નિષ્ફળતા અને માનવતા વિરુદ્ધના કૃત્યો—સાબિત થયાં છે. મીડિયા અહેવાલો મુજબ, હસીનાને હવે મૃત્યુદંડ મળવાની શક્યતા વધી છે. કોર્ટના ચુકાદાને લાઇવ પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. ચુકાદા બાદ દેશમાં હિંસા ઉગ્ર બની છે. સરકારે હાઇ એલર્ટ જાહેર કરતાં ઢાકામાં 15,000 પોલીસકર્મીઓને તૈનાત કર્યા છે અને હિંસક ટોળાં પર જરૂર પડે તો ગોળીબાર કરવાનો આદેશ આપ્યો છે.
શનિવારે મોડી રાત્રિથી રવિવાર સવાર સુધીમાં ઢાકામાં બે બસોને આગ ચાંપી દેવામાં આવી, જેનાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. વધતી હિંસા વચ્ચે દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. હવે સમગ્ર બાંગ્લાદેશની નજર ટ્રિબ્યૂનલના અંતિમ ચુકાદા અને આગામી રાજકીય ઘટનાક્રમ પર કેન્દ્રિત છે.
ચુકાદા પહેલા ઢાકામાં સુરક્ષાની તસવીરો..

શેખ હસીના સામે ગંભીર 5 આરોપ: હત્યાથી લઈને વિદ્યાર્થીઓ પર ડ્રોન હુમલાના આદેશ સુધી — દરેક ચાર્જમાં ચોંકાવનારા ખુલાસા
બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યૂનલમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને તેમના સહયોગીઓ સામે દાખલ કરાયેલા 5 મુખ્ય આરોપોના ચોંકાવનારા વિગત બહાર આવ્યા છે. દરેક આરોપ દેશમાં હિંસા, દમન અને માનવતા વિરુદ્ધના ગુનાઓનો ભયાનક ચિત્ર રજૂ કરે છે.
આરોપ નંબર 1: હત્યા, હત્યાના પ્રયાસ અને ત્રાસ
ચાર્જશીટ અનુસાર, શેખ હસીનાએ પોલીસ અને અવામી લીગ સાથે સંકળાયેલા સશસ્ત્ર ગૃપોને નાગરિકો પર હુમલો કરવા ઉશ્કેર્યા હતા. તેમણે હિંસાને પ્રોત્સાહન આપ્યું અને તેને રોકવામાં નિષ્ફળ રહ્યા હોવાનો ગંભીર આરોપ છે.
આરોપ નંબર 2: વિદ્યાર્થી વિરોધનો દમન
હસીનાએ વિદ્યાર્થીઓના વિરોધ દબાવવા માટે ઘાતક શસ્ત્રો, હેલિકોપ્ટર અને ડ્રોનના ઉપયોગનો આદેશ આપ્યો હતો. દેશના યુવા આંદોલનોને દમન કરવા માટે રાજ્ય શક્તિનો દુરુપયોગ કર્યાનો આરોપ છે.
આરોપ નંબર 3: વિદ્યાર્થી અબુ સૈયદની હત્યા
16 જુલાઈના રોજ બેગમ રોકેયા યુનિવર્સિટીના વિદ્યાર્થી અબુ સૈયદની હત્યામાં હસીના અને તેમના સાથીઓને આદેશ આપવો, કાવતરું ગૂંથવું અને સીધી ભાગીદારીના આરોપો છે.
આરોપ નંબર 4: છ નિઃશસ્ત્ર પ્રદર્શનકારીઓની હત્યા
5 ઓગસ્ટના રોજ ઢાકાના ચાંખારપુલ વિસ્તારમાં છ નિઃશસ્ત્ર વિરોધીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ટ્રિબ્યૂનલ અનુસાર આ હત્યાઓ સીધા શેખ હસીના દ્વારા આદેશિત, ઉશ્કેરાયેલી અને સહાયિત હતી.
આરોપ નંબર 5: જીવતા સળગાવવાનો ભયાનક કિસ્સો
આરોપ મુજબ, પાંચ વિરોધીઓને ગોળી મારીને મારી નાખ્યા બાદ તેમના મૃતદેહ સળગાવી દેવામાં આવ્યા, જ્યારે અન્ય એક વિરોધીને જીવતા સળગાવી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને માનવતા વિરુદ્ધના ગુનાનો સૌથી ભયંકર ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.
આ તમામ પાંચ આરોપો સાબિત થતાં હસીનાને મૃત્યુદંડ મળવાની શક્યતા સૌથી વધુ માનવામાં આવી રહી છે. દેશની રાજકીય પરિસ્થિતિ ગરમાઈ રહી છે અને હસીના સમર્થકો તેમજ વિરોધીઓ બંનેમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group