પોલિટિક્સ

નેપાળમાં ભ્રષ્ટાચાર પર સૌથી મોટી કાર્યવાહી, પૂર્વ PMથી રાષ્ટ્રપતિ સુધી તપાસ

નેપાળમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન બાલેન શાહ ની સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભરીને 5 સભ્યોની ન્યાયિક પેનલ રચી છે, જે 2006 થી 2025-26 સુધી જાહેર પદો પર રહેલા લોકોની સંપત્તિની તપાસ કરશે.


2006 પછીના તમામ ટોચના નેતાઓ તપાસના દાયરામાં

આ તપાસમાં 2005-06 પછીના તમામ 7 વડાપ્રધાનોને સામેલ કરવામાં આવ્યા છે, જેમાં
ગિરિજા પ્રસાદ કોઈરાલા, પુષ્પ કમલ દહલ, માધવ કુમાર નેપાળ, ઝલનાથ ખનાલ, બાબુરામ ભટ્ટરાઈ, કેપી શર્મા ઓલી અને શેર બહાદુર દેઉબા નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત વચગાળાની સરકારોના પ્રમુખ ખિલરાજ રેગ્મી અને સુશીલા કાર્કી પણ તપાસ હેઠળ આવશે.


પૂર્વ રાજા અને રાષ્ટ્રપતિઓ પણ તપાસમાં

આ તપાસમાં પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ ની સંપત્તિ પણ તપાસવામાં આવશે.

તે સિવાય ત્રણ રાષ્ટ્રપતિઓ — રામ બરન યાદવ, વિદ્યા દેવી ભંડારી અને રામચંદ્ર પૌડેલ — પણ તપાસના ઘેરામાં રહેશે.

માત્ર ટોચના નેતાઓ જ નહીં, પરંતુ 100થી વધુ મંત્રીઓ, બંધારણીય પદાધિકારીઓ અને વરિષ્ઠ અધિકારીઓ પણ તપાસ હેઠળ રહેશે.


મૃત્યુ પામેલા નેતાઓની સંપત્તિની પણ તપાસ

આ કાર્યવાહી 2006ના લોકતંત્ર બાદના સમગ્ર સમયગાળાને આવરી લે છે. ખાસ વાત એ છે કે હવે જીવિત ન રહેલા નેતાઓની સંપત્તિની પણ તપાસ થશે.

આવા કેસોમાં તેમના પરિવારજનો અને રાજકીય વારસદારોની સંપત્તિની પણ તપાસ થઈ શકે છે. તેમાં ગિરિજા પ્રસાદ કોઈરાલા અને સુશીલ કોઈરાલા જેવા નેતાઓના પરિવારનો સમાવેશ થઈ શકે છે.


પોતાના જ નેતાઓ પણ તપાસના દાયરામાં

આ તપાસ માત્ર વિપક્ષ સુધી મર્યાદિત નથી, પરંતુ શાસક પક્ષના નેતાઓ પણ તેની ઝપેટમાં આવી શકે છે.

રિપોર્ટ્સ અનુસાર, વર્તમાન સ્પીકર ડોલ પ્રસાદ આર્યલ, મંત્રી બિરાજભક્ત શ્રેષ્ઠ, શિશિર ખાનાલ અને રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના પ્રમુખ રવિ લામિછાને પણ તપાસનો સામનો કરવો પડી શકે છે.


આયોગની રચના અને કાર્યપદ્ધતિ

આ 5 સભ્યોના આયોગની અધ્યક્ષતા નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રાજેન્દ્ર કુમાર ભંડારી કરી રહ્યા છે.

સરકાર મુજબ તપાસ સંપૂર્ણપણે કાયદા અને પુરાવા આધારીત રહેશે. આ નિર્ણય બાદ નેપાળની રાજનીતિમાં મોટા ફેરફારો અને ખુલાસાની શક્યતા છે.


તપાસ પંચ કેવી રીતે કામ કરશે?

1. સંપત્તિનો ડેટા એકત્રિત કરાશે

નેતાઓ અને અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલ એસેટ ડિક્લેરેશન, ટેક્સ રેકોર્ડ્સ, બેંક ખાતા, જમીન અને વિદેશી સંપત્તિની માહિતી એકત્રિત કરવામાં આવશે.

2. ક્રોસ-વેરિફિકેશન

જાહેર આવકની સરખામણીમાં સંપત્તિનું મૂલ્યાંકન કરવામાં આવશે. આવક કરતાં વધુ સંપત્તિ મળવા પર તેને ગેરકાયદેસર માનવામાં આવી શકે છે. બેનામી અને શેલ કંપનીઓ પણ તપાસમાં આવશે.

3. સમન્સ અને પૂછપરછ

પેનલને કોર્ટ જેવી સત્તા આપવામાં આવી શકે છે, જેમાં વ્યક્તિઓને સમન્સ મોકલવા, દસ્તાવેજો માંગવા અને પૂછપરછ કરવાની સત્તા શામેલ છે.


નેપાળના મોટા ભ્રષ્ટાચારના કેસ

ભૂતાની શરણાર્થી કૌભાંડ (2023)

ખોટા શરણાર્થી બનાવી લોકોને વિદેશ મોકલવા માટે લાખો રૂપિયાની વસૂલીનો આરોપ. આ કેસમાં પૂર્વ ગૃહમંત્રી બાલકૃષ્ણ ખાણનું નામ સામે આવ્યું હતું.

લલિતા નિવાસ જમીન કૌભાંડ (2021)

સરકારી જમીનને નકલી દસ્તાવેજોથી ખાનગી નામે ટ્રાન્સફર કરવાનો આરોપ, જેમાં અનેક ટોચના નેતાઓ સામેલ રહ્યા.

વાઇડ બોડી એરક્રાફ્ટ ડીલ (2018)

એરબસ વિમાનોની ખરીદીમાં અબજો રૂપિયાની ગડબડીના આરોપો.

ભૂકંપ રાહત કૌભાંડ (2015)

ભૂકંપ બાદ રાહત સામગ્રી અને ફંડના દુરુપયોગના કેસ.

ટેલિકોમ લાયસન્સ કૌભાંડ (2009)

લાયસન્સ જારી કરવામાં નિયમોની અવગણના અને ભ્રષ્ટાચારના આરોપો.


રાજકીય અસર અને આગળ શું?

2006ના જનઆંદોલન બાદ નેપાળમાં લોકશાહી શરૂ થઈ હતી, પરંતુ ભ્રષ્ટાચારના આરોપો સતત સામે આવતા રહ્યા છે.

હાલ સુધીની તપાસો મર્યાદિત રહી હતી, પરંતુ આ વખતની કાર્યવાહી સત્તા, વિપક્ષ અને પૂર્વ રાજવી તંત્ર — બધાને આવરી લે છે.

વડાપ્રધાન બાલેન શાહે સત્તામાં આવતાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની ખાતરી આપી હતી. હવે આ મોટી કાર્યવાહીથી નેપાળની રાજનીતિમાં ભારે હલચલ સર્જાવાની શક્યતા છે અને આવનારા સમયમાં મોટા ખુલાસા સામે આવી શકે છે.

તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.

whatsapp Join WhatsApp Group
Exit mobile version