સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોથી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ચર્ચાનું કેન્દ્ર બની રહી હતી. મીમ્સ, વીડિયો અને રાજકીય ટિપ્પણીઓ વચ્ચે હવે ઇન્ટરનેટને ચર્ચાનો એક નવો વિષય મળી ગયો છે. પૂર્વ સુપ્રીમ કોર્ટ જજ અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ અધ્યક્ષ જસ્ટિસ માર્કંડેય કાત્જુએ નવી રાજકીય પહેલ તરીકે ‘ઇશ્ક કરો પાર્ટી’ બનાવવાની જાહેરાત કરી છે.
X પર પોસ્ટ કરીને કરી જાહેરાત
જસ્ટિસ કાત્જુએ પોતાના સત્તાવાર X (પૂર્વે ટ્વિટર) એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને ‘ઇશ્ક કરો પાર્ટી’ની ઘોષણા કરી હતી. તેમણે જણાવ્યું કે પાર્ટીનો મુખ્ય હેતુ સમાજમાં પ્રેમ, શાંતિ, ભાઈચારો અને પરસ્પર સમજણ વધારવાનો છે. સાથે જ તેમણે દેશના યુવાનોને આ અભિયાન સાથે જોડાવા અપીલ કરી હતી.
પાર્ટીમાં જોડાવા ઇચ્છુક લોકો માટે તેમણે ishqkaroparty@gmail.com ઈમેલ આઈડી પણ જાહેર કર્યો છે. કાત્જુના જણાવ્યા અનુસાર આજના સમયમાં વધતી નફરત અને ધ્રુવીકરણ વચ્ચે પ્રેમ અને એકતાનો સંદેશ આપવાની જરૂર છે.
સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ
જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર મજેદાર પ્રતિક્રિયાઓનો વરસાદ શરૂ થઈ ગયો. એક યુઝરે લખ્યું, “હવે રાજકારણમાં નફરત નહીં, ઇશ્કની એન્ટ્રી થઈ ગઈ છે.” જ્યારે બીજા એક યુઝરે ટિપ્પણી કરી, “કોકરોચ જનતા પાર્ટી સામે ઇશ્ક કરો પાર્ટી… હવે રાજકારણમાં પ્રેમ અને કોકરોચ વચ્ચે મુકાબલો જોવા મળશે.”
ઘણા લોકોએ આ જાહેરાતને જસ્ટિસ કાત્જુની જાણીતી વ્યંગાત્મક શૈલીનો ભાગ ગણાવ્યો, જ્યારે કેટલાક લોકોએ તેને સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવવાનો પ્રયાસ ગણાવ્યો.
કાત્જુ હંમેશા રહે છે ચર્ચામાં
જસ્ટિસ માર્કંડેય કાત્જુ પોતાના સ્પષ્ટ અને નિર્ભય નિવેદનો માટે જાણીતા છે. સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર તેઓ અવારનવાર ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરતા આવ્યા છે. તેથી તેમની આ નવી જાહેરાત પણ ચર્ચાનો વિષય બની છે.
જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ‘ઇશ્ક કરો પાર્ટી’ ભવિષ્યમાં ચૂંટણી પંચમાં નોંધાયેલી ઔપચારિક રાજકીય પાર્ટી બનશે કે નહીં. તેમ છતાં, આ પહેલે સોશિયલ મીડિયા પર નવી ચર્ચા અને મીમ્સનો ટ્રેન્ડ શરૂ કરી દીધો છે.
બીજી તરફ કોકરોચ જનતા પાર્ટીનો વિરોધ કાર્યક્રમ
આ દરમિયાન ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના સ્થાપક અભિજીત દીપકે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. તેમણે X પર વીડિયો સંદેશ જાહેર કરીને જણાવ્યું કે જો 13 જૂન સુધીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે, તો તેઓ વિવિધ રાજ્યો અને શહેરોમાં પ્રદર્શન શરૂ કરશે.
અભિજીતે ચેતવણી આપી કે ત્યારબાદ પણ માંગ સ્વીકારવામાં નહીં આવે તો દેશભરના વિદ્યાર્થીઓ દિલ્હી પહોંચીને શાંતિપૂર્ણ આંદોલન કરશે. CJP દ્વારા 6 જૂને દિલ્હીના જંતર-મંતર ખાતે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં પરીક્ષાઓમાં ગેરરીતિઓ અને NEET પેપર લીક જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા.
અમેરિકાથી ભારત આવ્યા અભિજીત દીપકે
અભિજીત દીપકે ખાસ કરીને આંદોલન માટે અમેરિકાથી ભારત આવ્યા છે. તેઓ રવિવારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર સ્થિત પોતાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યારબાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે છેલ્લા એક દાયકાથી દેશની રાજનીતિ હિંદુ-મુસ્લિમ જેવા મુદ્દાઓની આસપાસ ફરે છે, જ્યારે રોજગાર, શિક્ષણ અને યુવાનોના પ્રશ્નો પાછળ ધકેલાઈ ગયા છે.
CJPની શરૂઆત પાછળ શું કારણ?
કોકરોચ જનતા પાર્ટીની શરૂઆત એક વિવાદાસ્પદ નિવેદન બાદ થઈ હતી. 15 મેના રોજ એક કેસની સુનાવણી દરમિયાન ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કેટલાક બેરોજગાર યુવાનોને ‘કોકરોચ’ સાથે સરખાવ્યા હોવાનો દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ નિવેદન બાદ યુવાનોમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી.
ત્યારબાદ 16 મેના રોજ અભિજીત દીપકે અમેરિકામાંથી જ ‘કોકરોચ જનતા પાર્ટી’ની જાહેરાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર પાર્ટીના એકાઉન્ટ શરૂ કર્યા અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે ઓનલાઈન પિટિશન પણ શરૂ કરી હતી. આ અભિયાનને લાખો લોકોનું સમર્થન મળ્યાનો દાવો કરવામાં આવ્યો હતો.
હવે શું થશે?
એક તરફ ‘કોકરોચ જનતા પાર્ટી’ શિક્ષણ અને રોજગારના મુદ્દાઓ પર સરકાર સામે આંદોલન ચલાવી રહી છે, તો બીજી તરફ ‘ઇશ્ક કરો પાર્ટી’ પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપવાનો દાવો કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ બંને પહેલો માત્ર સોશિયલ મીડિયા સુધી સીમિત રહે છે કે પછી વાસ્તવિક રાજકીય અને સામાજિક અભિયાનનું સ્વરૂપ ધારણ કરે છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group