ભૂતકાળમાં અનેક વિવાદોમાં ઘેરાઈ ચૂકેલી Kirti Patel ફરી એકવાર ચર્ચામાં આવી છે. મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસે ભવનાથ ખાતે આવેલા મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન દરમિયાન તેઓ ભગવા વસ્ત્રોમાં અચાનક પહોંચી જતા વિવાદ ઊભો થયો હતો. સાધુઓની વચ્ચે રહી ડૂબકી લગાવતા અને ‘હર હર મહાદેવ’નો નાદ કરતા તેમના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
ઘટનાની જાણ થતાં તંત્ર તરત જ હરકતમાં આવ્યું અને કીર્તિ પટેલને મૃગીકુંડ વિસ્તારમાંથી દૂર કરવામાં આવ્યા. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું કે આ મામલે સાધુ-સંતો સાથે નીતિ-નિયમો અંગે ચર્ચા કરવામાં આવશે. જો કોઈ ગેરકાયદેસર કૃત્ય કે ધાર્મિક લાગણી દુભાય તેવી ઘટના બની હશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
મૃગીકુંડમાં કીર્તિ પટેલ હાજર હોવાની માહિતી ઇન્દ્રભારતી બાપુને આપવામાં આવી હતી. મેંદરડા ખાખમઢીના સુખરામદાસ બાપુએ આ ઘટનાને દુઃખદ ગણાવી કહ્યું કે રવેડી બાદ સાધુ-સંતો શાહી સ્નાન કરે ત્યારે સાધુવેશમાં અન્ય લોકો પ્રવેશ કરે તે યોગ્ય નથી.
ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલ સામે ગુજરાતમાં અંદાજે 10 ગુનાઓ નોંધાયેલા છે. ડિસેમ્બર 2025માં તેમની પાસા હેઠળ અટકાયત કરી એક મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. જેલમાંથી મુક્ત થયા બાદ તેઓ ફરી સોશિયલ મીડિયા પર સક્રિય થયા હતા.
આ ઉપરાંત સુરતના પરવત પાટિયા વિસ્તારમાં રહેણાંક ફ્લેટ મામલે પણ તેમનું નામ વિવાદમાં આવ્યું હતું. મહેસાણા મૂળના કીર્તિભાઈ પટેલ પરિવાર સાથે રહે છે. વર્ષ 2016માં તેમની પત્ની મંજુલાબેનના નામે પુણાગામ વિસ્તારમાં ફ્લેટ ખરીદાયો હતો, જેને 2019માં કીર્તિ પટેલને ભાડે આપવામાં આવ્યો હોવાનો દાવો છે. આ મુદ્દે પણ કાનૂની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
મહાશિવરાત્રિ જેવા ધાર્મિક પ્રસંગે સર્જાયેલા આ વિવાદે સંત સમાજ અને તંત્ર વચ્ચે ચર્ચા ઊભી કરી છે. હવે તંત્રની તપાસ બાદ આગળ શું પગલાં લેવાય છે તે પર સૌની નજર છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group