ગુજરાતમાં આવનારી વસતિગણતરીને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. અધિકારીઓની નિમણૂક અંગે રાજ્ય સરકારે વધુ બે ગેઝેટ જાહેર કર્યા છે, જેમાં શહેરી અને જિલ્લા વિસ્તારો માટે અલગ-અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગેઝેટ મુજબ હાઉસલિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસનો પ્રથમ તબક્કો 20 એપ્રિલ 2026થી 19 મે 2026 દરમિયાન યોજાશે, જ્યારે મુખ્ય વસતિગણતરી ફેબ્રુઆરી 2027માં હાથ ધરાશે.
33 પ્રશ્નોના આધારે ઘરની માહિતી એકત્રિત થશે
ડાયરેક્ટર ઓફ સેન્સસ ઓપરેશન સુજલ મયાત્રાએ જણાવ્યું કે વસતિગણતરી બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવે છે. પ્રથમ તબક્કામાં ગણતરીકારો દરેક ઘરની મુલાકાત લઈ 33 પ્રશ્નોના આધારે માહિતી એકત્રિત કરશે. તેમાં ઘરની સ્થિતિ, રહેણાક ઉપયોગ, પીવાનું પાણી, શૌચાલય, વીજળી, ટીવી સહિતની સુવિધાઓનો સમાવેશ થશે. સમગ્ર માહિતી ભારત સરકારની ખાસ ડિજિટલ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન ભરાશે.
દર 700-800 લોકો દીઠ એક ગણતરીકાર
તૈયારીઓ ડિસેમ્બર 2025થી શરૂ થઈ ચૂકી છે. નેશનલ માસ્ટર્સને દિલ્હી ખાતે તાલીમ આપવામાં આવી છે અને હવે રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ તાલીમ ચાલી રહી છે. ગેઝેટ મુજબ દર 700થી 800 વસતિ દીઠ એક ગણતરીકારની નિમણૂક કરાશે, જેમાં શિક્ષકોની મુખ્ય ભૂમિકા રહેશે.
શહેરી વિસ્તારો માટે ખાસ વ્યવસ્થા
મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર તરીકે મનપા કમિશનર અને સિટી સેન્સસ ઓફિસર તરીકે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરવામાં આવી છે. વોર્ડ સ્તરે પણ અધિકારીઓ જવાબદારી સંભાળશે. નગરપાલિકા વિસ્તારો માટે પણ અલગથી અધિકારીઓ નિયુક્ત કરાયા છે.
જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્પષ્ટ જવાબદારી
જિલ્લા સ્તરે પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર તરીકે કલેકટર, જિલ્લા વસતિ અધિકારી તરીકે નિવાસી અધિક કલેકટર, તાલુકા સ્તરે મામલતદાર અને સબ-ડિવિઝનલ સ્તરે નાયબ કલેકટર ફરજ બજાવશે.
ડેટાનું 30 દિવસમાં વેરિફિકેશન
હાઉસલિસ્ટિંગ પૂર્ણ થયા બાદ 30 દિવસમાં સુપરવાઈઝર દ્વારા સમગ્ર ડેટાનું વેરિફિકેશન કરાશે. ફેબ્રુઆરી 2027માં મુખ્ય ગણતરી પૂર્ણ થયા બાદ ત્રણથી ચાર મહિનામાં સંકલિત ડેટા જાહેર થવાની શક્યતા છે.
સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયા
આ વખતે કાગળ વિના સંપૂર્ણ ડિજિટલ પદ્ધતિ અપનાવવામાં આવશે. મકાન લિસ્ટિંગથી લઈને તમામ વિગતો ઓનલાઈન એપમાં દાખલ થશે અને દરરોજ ડેટા સેન્ટરમાં સિંક થશે, જેના કારણે પારદર્શિતા અને સુરક્ષા વધશે.
કાયદાકીય જોગવાઈ
ગેઝેટ મુજબ વસતિગણતરીમાં અવરોધ ઊભો કરનાર વ્યક્તિને ત્રણ વર્ષની કેદની સજાની જોગવાઈ છે, જ્યારે માહિતી આપવામાં આનાકાની કરનારને રૂપિયા 1,000 સુધીનો દંડ થઈ શકે છે.
દરેક ઘર બનશે ‘ડિજી ડોટ’: 5 મોટા ફાયદા
1. આપત્તિ સમયે તાત્કાલિક રાહત:
જિયો-ટેગિંગથી બનેલો ડિજિટલ મેપ પૂર, ભૂકંપ કે વાદળ ફાટવાની સ્થિતિમાં કેટલા લોકો કયા ઘરમાં રહે છે તેની ચોક્કસ માહિતી આપશે.
2. સીમાંકનમાં સહાય:
સંસદીય અને વિધાનસભા ક્ષેત્રોના તર્કસંગત વિભાજનમાં ડિજિટલ ડેટા મદદરૂપ બનશે.
3. શહેરી આયોજનમાં સરળતા:
બાળકોની સંખ્યા, કાચાં મકાનો કે સુવિધાઓના આધારે પાર્ક, શાળા અને હોસ્પિટલોનું આયોજન સરળ બનશે.
4. શહેરીકરણ અને સ્થળાંતરનો સચોટ ડેટા:
આગામી વસતિગણતરી સાથે તુલના કરીને સ્થળાંતર અને શહેરીકરણના દરની સ્પષ્ટ માહિતી મળશે.
5. મતદારયાદી વધુ સચોટ બનશે:
જિયો-ટેગિંગ અને આધાર જોડાણથી ડુપ્લિકેટ નામો દૂર કરવામાં મદદ મળશે.
ગુજરાતમાં 2026-27ની વસતિગણતરી રાજ્યના આયોજન, વિકાસ અને નીતિ નિર્માણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. સરકારનો દાવો છે કે આ વખતે ટેક્નોલોજીના વ્યાપક ઉપયોગથી પ્રક્રિયા વધુ પારદર્શક, ઝડપી અને વિશ્વસનીય બનશે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group