ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી મંગળવારે સત્તાવાર રીતે આર્મી ચીફના પદ પરથી નિવૃત્ત થયા. પોતાના કાર્યકાળના અંતિમ દિવસે તેમણે નવી દિલ્હીમાં આવેલા નેશનલ વોર મેમોરિયલ પર જઈ દેશ માટે સર્વસ્વ અર્પણ કરનાર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમના વિદાય બાદ આજે જનરલ ધીરજ સેઠ ભારતીય સેનાના નવા પ્રમુખ તરીકે પદભાર સંભાળશે. તેઓ ભારતીય સેનાના 31મા આર્મી ચીફ બનશે.
જવાબદારી સોંપતા દ્વિવેદીએ વ્યક્ત કર્યો વિશ્વાસ
નિવૃત્તિ પ્રસંગે જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે તેઓ ગૌરવની લાગણી સાથે ભારતીય સેનાની જવાબદારી જનરલ ધીરજ સેઠને સોંપી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે જનરલ સેઠ એક અનુભવી સૈનિક અને સક્ષમ નેતા છે અને તેમના નેતૃત્વમાં ભારતીય સેના પોતાની ગૌરવશાળી પરંપરાઓ જાળવી રાખતાં નવી સિદ્ધિઓ હાંસલ કરશે.
છેલ્લા બે વર્ષમાં દરેક મોરચે સેના રહી સજ્જ
જનરલ દ્વિવેદીએ પોતાના કાર્યકાળ દરમિયાન ભારતીય સેનાની કામગીરીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં સેનાએ દરેક મોરચે સંપૂર્ણ તૈયારી, સતર્કતા અને સંતુલન જાળવી રાખ્યું છે.
તેમણે કહ્યું કે ઉત્તર સરહદો પર ઓપરેશન સ્નો લેપર્ડ હેઠળ ભારતીય સેનાની તહેનાતી સંપૂર્ણ મજબૂતી અને ચોકસાઈ સાથે કરવામાં આવી હતી. જ્યારે પશ્ચિમ મોરચે પણ સેનાએ ગંભીરતા અને સંયમ સાથે પોતાની જવાબદારીઓ નિભાવી હતી. તેમણે ઓપરેશન સિંદૂરને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું.
ત્રણેય સેનાઓ વચ્ચે વધ્યો તાલમેલ
જનરલ દ્વિવેદીએ જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત દરેક મુદ્દે ભારતીય સેનાએ સ્પષ્ટ લક્ષ્ય, અનુશાસન અને જવાબદારી સાથે કામ કર્યું છે.
તેમણે ભારપૂર્વક કહ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન થલસેના, નૌસેના અને વાયુસેના વચ્ચેનો સમન્વય વધુ મજબૂત બન્યો છે. ત્રણેય સેનાઓએ પરસ્પર વિશ્વાસ અને સહિયારા અભિગમ સાથે કામ કરીને સંયુક્ત સૈન્ય ક્ષમતામાં વધારો કર્યો છે.
LAC પર સ્થિતિ સ્થિર પરંતુ સંવેદનશીલ
જનરલ દ્વિવેદીના જણાવ્યા અનુસાર વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર હાલની સ્થિતિ સ્થિર છે, પરંતુ તે હજુ પણ સંવેદનશીલ છે.
ભારતીય સેનાએ સરહદો પર મજબૂત તહેનાતી જાળવી રાખી છે અને કોઈપણ પ્રકારના પડકાર કે સુરક્ષા સંકટનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
કોણ છે નવા આર્મી ચીફ જનરલ ધીરજ સેઠ?
આજે ભારતીય સેનાના નવા પ્રમુખ બનનારા જનરલ ધીરજ સેઠને લગભગ ચાર દાયકાનો સૈન્ય અનુભવ છે. તેઓ ડિસેમ્બર 1986માં ભારતીય સેનામાં જોડાયા હતા અને ત્યારથી વિવિધ મહત્વપૂર્ણ ઓપરેશનલ તેમજ સ્ટાફ નિયુક્તિઓમાં સેવા આપી ચૂક્યા છે.
સેનામાં તેમની વ્યૂહાત્મક સમજ, નેતૃત્વ ક્ષમતા અને લાંબા અનુભવને ધ્યાનમાં રાખીને તેમને દેશના સર્વોચ્ચ સૈન્ય પદની જવાબદારી સોંપવામાં આવી છે.
સૈન્ય પરંપરાવાળા પરિવારમાંથી આવે છે
જનરલ ધીરજ સેઠનો પરિવાર પણ લાંબા સમયથી સેનાની સેવા સાથે જોડાયેલો છે.
તેમના પિતા લેફ્ટનન્ટ જનરલ કૃષ્ણ મોહન સેઠ ભારતીય સેનામાં એડજ્યુટન્ટ જનરલ તરીકે સેવા આપી ચૂક્યા છે અને વર્ષ 1997માં નિવૃત્ત થયા હતા. તેમણે ભારતીય સેનાની બે મહત્વપૂર્ણ ફોર્મેશન XXI સ્ટ્રાઈક કોર અને III કોરની કમાન પણ સંભાળી હતી.
રમતગમતમાં પણ રસ
સૈન્ય જીવન ઉપરાંત જનરલ ધીરજ સેઠ રમતગમતમાં પણ સક્રિય રસ ધરાવે છે. તેમને ટેનિસ અને ગોલ્ફ રમવાનો શોખ છે. તેમની પત્નીનું નામ કોમલ સેઠ છે.
ભારતીય સેનાના નવા વડા તરીકે જનરલ ધીરજ સેઠ હવે દેશની સરહદોની સુરક્ષા, આધુનિકીકરણ અને બદલાતા વૈશ્વિક સુરક્ષા પડકારો વચ્ચે સેનાને વધુ મજબૂત બનાવવાની મહત્વપૂર્ણ જવાબદારી સંભાળશે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group