ગ્લોબલ ન્યુઝ પોલિટિક્સ

હોર્મુઝ નજીક ઓઇલ ટેન્કર પર અમેરિકાનો મિસાઈલ હુમલો: 3 ભારતીય ગુમ, 21ને બચાવવામાં આવ્યા; ભારતે અમેરિકી રાજદૂતને સમન્સ પાઠવ્યા

મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઇરાન વચ્ચે વધતા તણાવની સીધી અસર ભારતીયો પર પણ જોવા મળી છે. હોર્મુઝ સ્ટ્રેટ નજીક ‘સેત્તેબેલ્લો’ નામના ઓઇલ ટેન્કર પર અમેરિકી મિસાઈલ હુમલો થતાં જહાજના એન્જિન રૂમમાં ભીષણ આગ લાગી હતી. આ ટેન્કર પર કુલ 28 ક્રૂ મેમ્બર સવાર હતા, જેમાં 24 ભારતીયોનો સમાવેશ થતો હતો.

હુમલા બાદ હાથ ધરાયેલા બચાવ અભિયાનમાં 21 ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 3 ભારતીય નાવિકો હજુ પણ ગુમ હોવાનું જણાવાયું છે. ગુમ થયેલા લોકોની શોધખોળ માટે ઓમાનના દરિયાઈ વિસ્તારમાં સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.

ઓમાન કિનારાથી 37 કિમી દૂર બની ઘટના

માહિતી મુજબ, પલાઉના ધ્વજવાળું આ ટેન્કર ઓમાનના સોહાર બંદરથી લગભગ 37 કિલોમીટર દૂર સમુદ્રમાં હતું ત્યારે હુમલો થયો હતો. મિસાઈલ હુમલાના કારણે એન્જિન રૂમમાં આગ ફાટી નીકળી અને જહાજને ભારે નુકસાન પહોંચ્યું હતું. પ્રાથમિક અહેવાલોમાં એક વ્યક્તિના મોત અને કેટલાક ક્રૂ મેમ્બર ગુમ થયાની માહિતી પણ સામે આવી હતી.

ભારત સરકારની કડક પ્રતિક્રિયા

ઘટનાને અત્યંત ગંભીર ગણાવી ભારત સરકારે નવી દિલ્હીમાં અમેરિકી દૂતાવાસના પ્રભારી રાજદૂત (ચાર્જ ધ અફેર્સ) જેસન મીક્સને સમન્સ પાઠવ્યા છે. ભારતે આ ઘટનાને લઈને સત્તાવાર સ્પષ્ટતા માગી છે અને ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ઓમાનમાં ભારતીય દૂતાવાસ સ્થાનિક સત્તાધીશો સાથે સતત સંપર્કમાં છે અને બચાવ અભિયાન પર નજીકથી નજર રાખી રહ્યું છે. ગુમ થયેલા ભારતીયોને શોધવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અમેરિકા-ઇરાન તણાવ વચ્ચે ઘટના

આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકા અને ઇરાન વચ્ચે સૈન્ય અથડામણો વધી રહી છે. અમેરિકાએ ઇરાનના અનેક વ્યૂહાત્મક ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા બાદ ઇરાને પણ કુવૈત, બહેરીન અને જોર્ડનમાં આવેલા અમેરિકી ઠેકાણાઓને નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે.

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ પરિવહન માર્ગોમાંનો એક હોવાથી અહીં બનતી દરેક ઘટના વૈશ્વિક વેપાર અને ઊર્જા બજાર પર અસર કરે છે. ટેન્કર પરના હુમલા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા વધી છે.

ભારત માટે કેમ મહત્વપૂર્ણ?

હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલની આયાત થાય છે. ઉપરાંત હજારો ભારતીય નાવિકો અને કામદારો ખાડી દેશોમાં કાર્યરત છે. આવી સ્થિતિમાં વિસ્તારની અસ્થિરતા ભારતના વેપાર, ઊર્જા સુરક્ષા અને ભારતીય નાગરિકોની સલામતી માટે મોટો પડકાર બની શકે છે.

હાલ ભારત સરકાર ગુમ થયેલા ત્રણ ભારતીયોની શોધખોળ અને બચાવ માટે સતત પ્રયાસો કરી રહી છે, જ્યારે સમગ્ર ઘટનાક્રમ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.

whatsapp Join WhatsApp Group
Exit mobile version