અમદાવાદના બહુચર્ચિત ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ આજે પોણા ત્રણ વર્ષ બાદ જેલમાંથી મુક્ત થયો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયમિત જામીન મંજૂર થયા બાદ તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થતાં તથ્ય પટેલ 2 વર્ષ, 10 મહિના અને 14 દિવસ બાદ અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યો હતો. જેલની બહાર તેના પિતા પ્રગ્નેશ પટેલ ફોર્ચ્યુનર કાર લઈને પહોંચ્યા હતા અને તથ્યને પોતાના ઘરે લઈ ગયા હતા. જેલમાંથી બહાર નીકળતી વખતે તથ્ય પટેલે માથે ટોપી પહેરી હતી અને મીડિયાના સવાલો સામે સંપૂર્ણ મૌન જાળવ્યું હતું.
સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા હતા નિયમિત જામીન
અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 27 મે, 2026ના રોજ સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને નિયમિત જામીન મંજૂર કર્યા હતા. જામીન આપતી વખતે કોર્ટે તથ્યની બોનાફાઈડતા સાબિત કરવા માટે ટ્રાયલ કોર્ટમાં 1 કરોડ રૂપિયાની રકમ જમા કરાવવાની શરત મૂકી હતી.
આદેશ અનુસાર તમામ કાર્યવાહી પૂર્ણ થતાં આજે 3 જૂન, 2026ના રોજ તથ્ય પટેલના વકીલ નિસાર વૈધ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાંથી જરૂરી દસ્તાવેજો મેળવી અમદાવાદ સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા. જેલમાં બીડું જમા કરાવ્યા બાદ તથ્યને મુક્ત કરવામાં આવ્યો હતો.
પિતા પ્રગ્નેશ પટેલ ફોર્ચ્યુનર કારમાં લેવા પહોંચ્યા
જેલમાંથી મુક્તિ મળતાં પહેલાં જ તથ્ય પટેલના પિતા પ્રગ્નેશ પટેલ સેન્ટ્રલ જેલ બહાર ફોર્ચ્યુનર કાર લઈને પહોંચી ગયા હતા. તથ્ય જેલમાંથી બહાર આવતા જ સીધો કારમાં બેસી ગયો હતો. મીડિયા દ્વારા પૂછાયેલા સવાલોના જવાબ આપવાને બદલે તેણે મૌન જાળવ્યું હતું.
જામીનની કડક શરતો
તથ્ય પટેલના વકીલ નિસાર વૈધે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે કેટલીક કડક શરતો સાથે જામીન મંજૂર કર્યા છે.
- તથ્ય પટેલ દેશ છોડીને જઈ શકશે નહીં.
- તેનો પાસપોર્ટ કોર્ટમાં જમા રહેશે.
- કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાઈ શકશે નહીં.
- કોર્ટની પરવાનગી વગર વિદેશ પ્રવાસ કરી શકશે નહીં.
હવે ક્યારેય વાહન ચલાવી શકશે નહીં
ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ સાબરમતી આરટીઓએ ટ્રાફિક પોલીસની ભલામણના આધારે તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ કાયમી ધોરણે રદ કરી દીધું હતું.
લાઇસન્સ આજીવન સસ્પેન્ડ થતાં હવે તથ્ય પટેલ ભારતમાં કાયદેસર રીતે ક્યારેય કોઈપણ પ્રકારનું વાહન ચલાવી શકશે નહીં.
1684 પાનાની ચાર્જશીટ અને 191 સાક્ષીઓ
અકસ્માત બાદ પોલીસે તથ્ય પટેલ સામે IPCની વિવિધ ગંભીર કલમો અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી માત્ર સાત દિવસમાં 1684 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.
તથ્ય પટેલ સામે IPC કલમ 279, 337, 338, 304, 504, 506(2), 308, 114 અને 118 સહિત મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. IPCની કલમ 304 હેઠળ દોષિત ઠરે તો 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.
ચાર્જશીટમાં કુલ 14 દસ્તાવેજી પુરાવા, 9 મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ, 191 સાક્ષીઓના નામ અને FSLના 15 રિપોર્ટ સામેલ કરવામાં આવ્યા હતા. ઉપરાંત અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના મેડિકલ પુરાવા અને પંચનામાં પણ રજૂ કરવામાં આવ્યા હતા.
તથ્ય પટેલ અકસ્માત કેસ: જુલાઈ 2023થી મે 2026 સુધીની સંપૂર્ણ ટાઇમલાઇન
| તારીખ | ઘટનાક્રમ |
|---|---|
| 20-07-2023 | અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયો, જેમાં 9 લોકોનાં મોત નિપજ્યાં. |
| 27-07-2023 | તથ્ય પટેલ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી. |
| 18-08-2023 | તથ્ય પટેલ તરફથી પ્રથમ વખત જામીન અરજી દાખલ કરવામાં આવી. |
| 24-08-2023 | પ્રથમ જામીન અરજી ફગાવી દેવામાં આવી. |
| 04-10-2023 | અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં IPC કલમ 304 અને 308 સહિતની કલમોમાંથી ડિસ્ચાર્જ કરવાની અરજી કરવામાં આવી. |
| 21-10-2023 | IPC 304 અને 308 કલમોમાંથી ડિસ્ચાર્જ કરવાની અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી. |
| 23-08-2024 | તથ્યના દાદાનું અવસાન થતાં પ્રથમ વખત ગ્રામ્ય કોર્ટે હંગામી જામીન મંજૂર કર્યા. |
| 03-12-2024 | અમદાવાદ ગ્રામ્ય કોર્ટે નિયમિત જામીન અરજી ફગાવી. |
| મે, 2025 | માતાની સારવાર માટે હાઈકોર્ટે 4 દિવસના હંગામી જામીન મંજૂર કર્યા. |
| જૂન, 2025 | નિયમિત જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફરી ફગાવી. |
| ઓગસ્ટ, 2025 | હાઈકોર્ટે નિયમિત જામીન અરજી નકારી. |
| નવેમ્બર, 2025 | સુપ્રીમ કોર્ટે એક સપ્તાહમાં ચાર્જફ્રેમ (ચાર્જ નક્કી) કરવાની સૂચના આપી. |
| 18-11-2025 | અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં તથ્ય પટેલ સામે સત્તાવાર ચાર્જફ્રેમ કરવામાં આવ્યા. |
| 01-12-2025 | અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કેસની ટ્રાયલ શરૂ થઈ. |
| 03-12-2025 | IPC 304 અને 308 કલમોમાંથી ડિસ્ચાર્જ કરવાની અરજી હાઈકોર્ટે ફગાવી. |
| 27-05-2026 | સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને નિયમિત જામીન મંજૂર કર્યા. |
| 03-06-2026 | 2 વર્ષ, 10 મહિના અને 14 દિવસ બાદ તથ્ય પટેલ અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થયો. |
મુખ્ય મુદ્દા
- 9 લોકોનાં મોત સાથે ઇસ્કોન બ્રિજ અકસ્માત ગુજરાતના સૌથી ચર્ચિત માર્ગ અકસ્માત કેસોમાંનો એક બન્યો.
- તથ્ય પટેલની અનેક જામીન અરજીઓ ગ્રામ્ય કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા ફગાવવામાં આવી હતી.
- સુપ્રીમ કોર્ટે 1 કરોડ રૂપિયાની શરત સાથે નિયમિત જામીન મંજૂર કર્યા.
- તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
- કેસમાં 1684 પાનાની ચાર્જશીટ, 191 સાક્ષીઓ અને અનેક ફોરેન્સિક પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે.
શું હતી ઇસ્કોન બ્રિજ દુર્ઘટના?
19 જુલાઈ, 2023ની મોડી રાત્રે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ લોકો ભેગા થયા હતા. તે દરમિયાન તથ્ય પટેલ પોતાની જેગુઆર કાર લઈને પૂરપાટ ઝડપે ત્યાંથી પસાર થયો હતો અને ભીડ પર કાર ચડાવી દીધી હતી.
આ ભયાનક ઘટનામાં 9 લોકોના મોત થયા હતા જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. ત્યારબાદ પોલીસે તથ્ય પટેલની ધરપકડ કરીને તેને સાબરમતી જેલમાં મોકલી આપ્યો હતો.
હવે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ તથ્ય પટેલ જેલમાંથી બહાર આવ્યો છે, પરંતુ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસની ટ્રાયલ અને કાનૂની કાર્યવાહી હજુ ચાલુ છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group