ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ત્રણ વનડે મેચોની સિરિઝ દરમિયાન ભારતીય ટીમ માટે એક ચોંકાવનારી ઘટના બની. ત્રીજી વનડે મેચ દરમિયાન વાયસ કેપ્ટન શ્રેયસ અય્યર ફિલ્ડિંગ કરતી વખતે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. સિડનીના મેદાનમાં રમાતી આ મેચ દરમિયાન, ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એલેક્સ કેરીનો કેચ પકડવાના પ્રયાસમાં અય્યર જમીન પર પડી ગયો અને તેની પાંસળી પાસે ગંભીર ઈજા પહોંચી.
તાત્કાલિક મેદાન પરની મેડિકલ ટીમે અય્યરને સારવાર આપી અને તરત જ તેને સિડનીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ત્યાં તપાસ બાદ ડોક્ટરોએ જણાવ્યું કે અય્યરને પાંસળીમાં ઈજા (spleen laceration) થઈ છે અને આંતરિક રક્તસ્રાવ પણ જોવા મળ્યો છે. જો સમયસર સારવાર ન મળત, તો આ ઈજા જીવલેણ સાબિત થઈ શકી હોત.
હાલની સ્થિતિ શું છે?
ડોક્ટરોએ અય્યરને તાત્કાલિક ICUમાં દાખલ કર્યો હતો. તેમની સ્થિતિ હાલ સ્થિર (stable) હોવાનું ટીમ ઈન્ડિયાના સ્ત્રોતો જણાવે છે. અય્યરની સારવાર માટે BCCIની મેડિકલ ટીમ પણ સિડની પહોંચી ગઈ છે અને સતત દેખરેખ રાખી રહી છે.
સ્રોતો મુજબ, અય્યરને આગામી એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રાખવામાં આવશે, જેથી સંપૂર્ણ ચેકઅપ અને રિકવરી સુનિશ્ચિત થાય. ડોક્ટરો કહે છે કે સપ્લીન ઈજા (Spleen Injury) એવી ઈજા છે જેમાં આંતરિક અંગો પર અસર પડે છે અને પૂરું સ્વસ્થ થવા માટે છથી આઠ અઠવાડિયાનો સમય લાગી શકે છે.
પરિવારનો નિર્ણય: “અમને ડોક્ટરો પર પૂરતો વિશ્વાસ છે”
પ્રથમ અહેવાલો મુજબ કહેવાયું હતું કે અય્યરનો પરિવાર તેની સ્થિતિને ધ્યાનમાં રાખીને સિડની જવાનો વિચાર કરી રહ્યો છે. પરંતુ હવે શ્રેયસ અય્યરના પિતા, સંતોષ અય્યર,નું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે, “અમે ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા નથી. અમને ટીમ ઈન્ડિયાના ડોક્ટરો અને મેડિકલ ટીમ પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેઓ શ્રેયસની યોગ્ય રીતે સંભાળ રાખી રહ્યા છે.” તેમણે ઉમેર્યું કે હાલમાં પરિવાર દરરોજ ડોક્ટરો અને ટીમ મેનેજમેન્ટ સાથે સંપર્કમાં છે અને મળતા દરેક અપડેટને નજીકથી અનુસરી રહ્યો છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group