નવી દિલ્હી: સંચાર સાથી એપ અંગે ચાલી રહેલા રાજકીય વિવાદ અને જાસૂસીના આરોપો વચ્ચે કેન્દ્ર સરકારે મંગળવારે મહત્વની સ્પષ્ટતા આપી છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું છે કે સંચાર સાથી એપ ફરજિયાત નથી અને દરેક મોબાઇલ યુઝર તેને પોતાની ઇચ્છા પ્રમાણે ડિલીટ પણ કરી શકે છે.
તાજેતરમાં ટેલિકોમ વિભાગે તમામ ફોનમાં સંચાર સાથી એપ ફરજિયાત રાખવાના નિર્દેશ જાહેર કર્યા હતા, જેના કારણે વિપક્ષે જાસૂસીની આશંકા વ્યક્ત કરીને વિરોધ નોંધાવ્યો હતો.
સિંધિયાનો ખુલાસો: જાસૂસીનો કોઈ પ્રશ્ન જ નહિ
સિંધિયાએ મીડિયા સામે સ્પષ્ટ કર્યું:
“આ એપના આધારે કોઈ જાસૂસી કે કોલ મોનિટરિંગ થવાનું નથી. તમે ઇચ્છો તો તેને એક્ટિવ રાખો, નહીં ઇચ્છો તો નહીં રાખો. એપ રાખવી કે કાઢી નાખવી – બધું તમારી પસંદગી છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે આ માત્ર ગ્રાહક સુરક્ષા સાથે જોડાયેલ મુદ્દો છે.
ગ્રાહક સુરક્ષા માટે બનાવેલી એપ
મંત્રીએ જણાવ્યું કે સંચાર સાથી એપ ચોરી, છેતરપિંડી અને સાયબર ફ્રોડ સામે સુરક્ષા આપવા માટે બનાવવામાં આવી છે.
“જો તમે તેને કાઢી નાખવા માંગો તો ચોક્કસ કાઢી શકો. તે ફરજિયાત નથી. પરંતુ દરેકને ખબર હોવી જોઈએ કે આ એપ લોકોને ફ્રોડ અને મોબાઇલ ચોરીથી બચાવવા માટે છે,” સિંધિયાએ જણાવ્યું.
સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે એપ ઉપલબ્ધ કરાવવી તેમની જવાબદારી છે, પરંતુ તેનો ઉપયોગ સંપૂર્ણપણે યુઝરપર આધારિત છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group