અવનવી સ્પેશિયલ

1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો, કેન્દ્ર સરકારે વધારી ફી; તત્કાલ સેવા માટે ₹6,000 સુધી ચૂકવવા પડશે

1 જુલાઈથી પાસપોર્ટ બનાવવો અથવા રી-ઇશ્યુ કરાવવો હવે વધુ ખર્ચાળ બનશે. કેન્દ્ર સરકારે પાસપોર્ટ ફીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. નવા નિયમો મુજબ સામાન્ય અને તત્કાલ (Tatkal) બંને કેટેગરીના પાસપોર્ટ માટે વધુ ફી ચૂકવવી પડશે. વિદેશ મંત્રાલયે પાસપોર્ટ રૂલ્સ, 1980માં સુધારો કરીને નવા દરો જાહેર કર્યા છે. નોંધનીય છે કે પાસપોર્ટ ફીમાં આ વધારો લગભગ 14 વર્ષ બાદ કરવામાં આવ્યો છે. છેલ્લે વર્ષ 2012માં ફીમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

સામાન્ય અને તત્કાલ પાસપોર્ટના નવા દર

નવા નિયમો અનુસાર 36 પાનાના સામાન્ય પાસપોર્ટ માટે હવે ₹1,500ના બદલે ₹2,500 ચૂકવવા પડશે. જ્યારે તત્કાલ સેવા હેઠળ આ જ પાસપોર્ટ માટેની ફી ₹3,500થી વધીને ₹5,000 થઈ જશે.

60 પાનાના પાસપોર્ટ માટે સામાન્ય કેટેગરીની ફી ₹2,000થી વધીને ₹3,500 કરવામાં આવી છે, જ્યારે તત્કાલ સેવા માટે હવે ₹6,000 ચૂકવવા પડશે, જે અગાઉ ₹4,000 હતી.

પાસપોર્ટ ગુમાય અથવા ડેમેજ થાય તો વધુ ખર્ચ

સરકારે ગુમ થયેલા અથવા નુકસાન પામેલા પાસપોર્ટને ફરીથી જારી કરવાની ફીમાં પણ નોંધપાત્ર વધારો કર્યો છે.

જો 36 પાનાનો પાસપોર્ટ ખોવાઈ જાય અથવા ડેમેજ થઈ જાય તો સામાન્ય પ્રક્રિયામાં નવો પાસપોર્ટ મેળવવા માટે ₹5,000 ચૂકવવા પડશે. જ્યારે તત્કાલ સેવા હેઠળ આ જ ફી વધીને ₹7,500 થશે.

તે જ રીતે 60 પાનાના રિપ્લેસમેન્ટ પાસપોર્ટ માટે સામાન્ય કેટેગરીમાં ₹6,000 અને તત્કાલ સેવામાં ₹8,500 ફી નક્કી કરવામાં આવી છે.

બાળકોના પાસપોર્ટ માટે પણ નવા નિયમ

સગીર (માઇનોર) અરજદારો માટે પણ નવા દર લાગુ થશે. જો બાળકનો 36 પાનાનો પાસપોર્ટ ગુમાય અથવા નુકસાન પામે તો સામાન્ય કેટેગરીમાં રિપ્લેસમેન્ટ માટે ₹4,250 ચૂકવવા પડશે. જ્યારે તત્કાલ સેવા દ્વારા નવો પાસપોર્ટ મેળવવા માટે ₹6,750 ફી લાગશે.

અન્ય સેવાઓ પણ મોંઘી

પાસપોર્ટ ઉપરાંત પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (PCC), સરેન્ડર સર્ટિફિકેટ તેમજ અન્ય સંબંધિત સેવાઓની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. એટલે કે વિદેશમાં અભ્યાસ, નોકરી અથવા ઇમિગ્રેશન માટે અરજી કરનારાઓને હવે વધુ ખર્ચ કરવો પડશે.

પાસપોર્ટની માન્યતા યથાવત

સરકારે સ્પષ્ટ કર્યું છે કે ફીમાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ પાસપોર્ટની માન્યતા (Validity)માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

પુખ્ત વયના અરજદારો માટે પાસપોર્ટ અગાઉની જેમ 10 વર્ષ સુધી માન્ય રહેશે. જ્યારે સગીરોને આપવામાં આવતા પાસપોર્ટની માન્યતા 5 વર્ષ અથવા તેઓ 18 વર્ષના થાય ત્યાં સુધી (જે પહેલું આવે તે) રહેશે.

14 વર્ષ બાદ ફીમાં વધારો

કેન્દ્ર સરકારે લગભગ દોઢ દાયકા બાદ પાસપોર્ટ ફીમાં વધારો કર્યો છે. સરકારનું માનવું છે કે વધતા વહીવટી ખર્ચ અને સેવાઓને વધુ આધુનિક બનાવવા માટે આ સુધારો જરૂરી હતો. નવા દરો 1 જુલાઈથી સમગ્ર દેશમાં અમલમાં આવશે, તેથી જે લોકો ટૂંક સમયમાં પાસપોર્ટ માટે અરજી કરવાની યોજના બનાવી રહ્યા છે તેઓ માટે 1 જુલાઈ પહેલાં અરજી કરવી વધુ ફાયદાકારક બની શકે છે.

તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.

whatsapp Join WhatsApp Group
Exit mobile version