બિઝનેસ

₹10 લાખ સુધી કેશ ટ્રાન્ઝેક્શન પર PAN કાર્ડ નહીં જરૂરી! 1 એપ્રિલથી લાગુ થશે નવા IT નિયમો

નાના ટ્રાન્ઝેક્શન પર કાગળની કાર્યવાહી ઘટાડવાનો સરકારનો પ્રયાસ, 1 એપ્રિલ 2026થી લાગુ થવાની શક્યતા

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026 દરમિયાન જાહેર કરેલા ‘નવા ઇનકમ ટેક્સ એક્ટ, 2025’ના ડ્રાફ્ટ નિયમોમાં પાન કાર્ડની અનિવાર્યતા સંબંધિત મહત્વપૂર્ણ ફેરફારો પ્રસ્તાવિત થયા છે. CBDT દ્વારા જાહેર કરાયેલા આ ડ્રાફ્ટનો હેતુ નાના ટ્રાન્ઝેક્શન માટેની કાગળની કાર્યવાહી ઘટાડવો અને સામાન્ય નાગરિકો તથા નાના વેપારીઓને રાહત આપવાનો છે.

સરકારએ જનતા અને હિતધારકો પાસેથી સૂચનો માંગ્યા છે. માર્ચના પહેલા અઠવાડિયા સુધીમાં અંતિમ મંજૂરી બાદ આ નિયમો 1 એપ્રિલ 2026થી સમગ્ર દેશમાં અમલમાં આવી શકે છે.


1. રોકડ વ્યવહાર: વર્ષમાં ₹10 લાખ સુધી PANથી રાહત

પ્રસ્તાવિત નિયમો અનુસાર, હવે એક નાણાકીય વર્ષ દરમિયાન બેંક અથવા કો-ઓપરેટિવ બેંકમાં કુલ ₹10 લાખ કે તેથી વધુ રોકડ જમા કરાવવા અથવા ઉપાડવા પર જ PAN નંબર આપવો ફરજિયાત રહેશે.

હાલના નિયમ મુજબ, એક જ દિવસમાં ₹50,000થી વધુ રોકડ જમા કરાવવા પર PAN આપવું જરૂરી હોય છે. નવા પ્રસ્તાવથી નાના વેપારીઓ અને સામાન્ય ખાતાધારકોને મોટી રાહત મળશે, કારણ કે રોજિંદા નાના ટ્રાન્ઝેક્શનમાં PANની જરૂર નહીં રહે.


2. હોટેલ અને પ્રોપર્ટી: ₹1 લાખ સુધીના બિલ પર PAN નહીં

હોટેલમાં ચૂકવાતા બિલ માટે PANની લિમિટ ₹50,000થી વધારીને ₹1 લાખ કરવાનો પ્રસ્તાવ છે. એટલે કે ₹1 લાખથી ઓછા બિલ પર PAN આપવાની જરૂર નહીં પડે.

આ જ નિયમ કન્વેન્શન સેન્ટર અને ઇવેન્ટ મેનેજમેન્ટ પેમેન્ટ માટે પણ લાગુ રહેશે.

પ્રોપર્ટીની ખરીદી-વેચાણ અથવા ગિફ્ટના કેસમાં PAN ફરજિયાત મર્યાદા ₹10 લાખથી વધારીને ₹20 લાખ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ પગલું રિયલ એસ્ટેટ સેક્ટરમાં પારદર્શિતા સાથે સરળતા લાવવાનો પ્રયાસ માનવામાં આવે છે.


3. વાહન ખરીદી: ₹5 લાખથી વધુ કિંમતની ગાડી પર PAN ફરજિયાત

ડ્રાફ્ટ મુજબ, જો કોઈ વ્યક્તિ ₹5 લાખથી વધુ કિંમતની મોટરસાઇકલ અથવા કોઈ પણ મોટર વાહન ખરીદે છે, તો PAN નંબર આપવો ફરજિયાત રહેશે.

હાલમાં ટુ-વ્હીલર માટે PANની કોઈ અનિવાર્યતા નહોતી, જ્યારે ચાર પૈડાવાળા વાહનો માટે કિંમત ગમે તેવી હોય, PAN આપવું ફરજિયાત હતું. નવા નિયમથી ₹5 લાખ સુધીની ગાડીઓને આ દાયરામાંથી બહાર રાખી શકાય છે, જે મધ્યમ વર્ગને રાહતરૂપ બની શકે છે.


4. ઇન્શ્યોરન્સ: એકાઉન્ટ-બેઝ્ડ રિલેશનશિપ માટે PAN જરૂરી

હવે કોઈપણ વીમા કંપની સાથે એકાઉન્ટ-આધારિત રિલેશનશિપ શરૂ કરવા માટે PAN ફરજિયાત રહેશે.

હાલના નિયમોમાં માત્ર ₹50,000થી વધુના લાઇફ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર PAN માંગવામાં આવતું હતું. ‘એકાઉન્ટ-આધારિત સંબંધ’નો અર્થ એ છે કે પોલિસી ખરીદતાં જ ગ્રાહકની એક કાયમી પ્રોફાઇલ અથવા ખાતું ખૂલશે, જેથી ભવિષ્યમાં તમામ વ્યવહારો પારદર્શક રીતે ટ્રેક થઈ શકે.


5. ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન: ટેક્સ વિભાગ સાથે માહિતી શેરિંગ ફરજિયાત

ડ્રાફ્ટ નિયમો મુજબ, હવે ક્રિપ્ટો એક્સચેન્જને ઇન્કમ ટેક્સ વિભાગ સાથે ગ્રાહકોના ટ્રાન્ઝેક્શન સંબંધિત માહિતી શેર કરવી ફરજિયાત રહેશે.

ડિજિટલ કરન્સીને હવે ઇલેક્ટ્રોનિક પેમેન્ટ તરીકે માન્યતા આપવામાં આવી છે. આ પગલું ક્રિપ્ટો માર્કેટમાં પારદર્શિતા વધારવા અને ટેક્સ ચોરી અટકાવવા માટે મહત્વપૂર્ણ ગણાય છે.


કાયદો ક્યારેથી લાગુ થશે?

CBDTએ આ ડ્રાફ્ટ નિયમો પર જનતા અને હિતધારકો પાસેથી સૂચનો માંગ્યા છે. માર્ચ 2026ના પહેલા અઠવાડિયા સુધીમાં સૂચનોના આધારે નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

ત્યારબાદ, 1 એપ્રિલ 2026થી ‘નવો ઇનકમ ટેક્સ એક્ટ, 2025’ અને આ તમામ નવા નિયમો દેશભરમાં અમલમાં આવશે.


શું મળશે રાહત?

સરકારના આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ ટેક્સ સિસ્ટમને વધુ સરળ, પારદર્શક અને ટેક્નોલોજી આધારિત બનાવવાનો છે. નાના ટ્રાન્ઝેક્શન માટે PANની અનિવાર્યતા ઘટાડવાથી સામાન્ય નાગરિકો અને નાના વ્યવસાયોને વહીવટી ઝંઝટમાંથી રાહત મળશે, જ્યારે મોટી રકમના વ્યવહારો પર દેખરેખ વધુ મજબૂત બનાવાશે.

તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.

whatsapp Join WhatsApp Group
Exit mobile version