દિલ્હીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બર, 2025ના રોજ થયેલા કાર બોમ્બ બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાતમાં સુરક્ષા તંત્ર સતર્ક થઈ ગયું છે. પોલીસ શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે. આ દરમિયાન, જૂનાગઢની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ માંગરોળમાંથી બે શંકાસ્પદ કાશ્મીરી વ્યક્તિઓને કાબૂમાં લીધા છે. બંને વ્યક્તિઓ મદ્રેસાઓમાંથી ફાળો ઉઘરાવતા હોવાની માહિતી સામે આવી છે. વધુ પૂછપરછ માટે તેમને જૂનાગઢ SOG ઓફિસ ખાતે લાવવામાં આવ્યા છે.
ઉના તાલુકાના નવાબંદરમાં પણ કાશ્મીરથી આવેલા ત્રણ શખ્સની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. આ વ્યક્તિઓ એક મસ્જિદમાં રોકાયા હોવાની માહિતી મળતાં પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ ત્રણેય વ્યક્તિઓ ભીખ માગીને ગુજરાન ચલાવતા હતા. પ્રાથમિક પૂછપરછમાં તેમની પાસેથી કોઈ શંકાસ્પદ સામગ્રી કે માહિતી મળી નથી. તેમ છતાં, સમગ્ર મામલે પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
આ શંકાસ્પદ લોકો અંગે દીવ પોલીસે ગીર સોમનાથ પોલીસને માહિતી આપી હતી, જેના આધારે તપાસ હાથ ધરાઈ છે. હાલ સમગ્ર ઘટના અંગે SOG અને સ્થાનિક પોલીસ તંત્ર ચાંપતી નજર રાખી રહ્યું છે અને સુરક્ષા વધારવામાં આવી છે.

બે દિવસ પહેલા ભુજની જનતા ઘર હોટેલમાંથી એક કાશ્મીરી પરિવાર મળ્યું હતું
ગત 11 નવેમ્બરના રોજ ભુજના જનતા ઘર હોટેલમાંથી એસઓજીની ટીમે કાશ્મીરી પરિવારને પૂછપરછ માટે હસ્તગત કર્યો છે, તો હોટેલ સંચાલક સામે રજીસ્ટર મેન્ટેનમાં બેદરકારી બદલ જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. આ બાબતે એસઓજીમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ભુજના જનતા ઘર હોટેલમાંથી એક કાશ્મીરી પરિવાર તપાસ દરમિયાન મળી આવતા આ પરિવારને પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા. આ પરિવારમાં એક દંપતી, પતિનો પિતરાઈ ભાઈ અને ત્રણ સંતાનોનો સમાવેશ થાય છે. આ પરિવાર શિયાળામાં કાશ્મીરમાં થતી ભારે બરફબારીના સમયકાળ દરમિયાન પરપ્રાંત નીકળી ભિક્ષા વૃત્તિ કરતું હોવાનું પ્રાથમિક તપસમાં ખુલવા પામ્યું છે. આ પરિવાર ગત તા. 1થી ભુજની જનતા ઘર હોટેલમાં રહેતું હતું. તેઓ દિવસ દરમિયાન ભુજના લઘુમતી વિસ્તારમાં ફરી ભિક્ષા વૃત્તિ કરતા હતા અને રાત્રે હોટેલમાં આવીને સુઈ જતા હોવાનું જાણવા મળ્યું છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group