ક્રાઇમ

ભારતના ભાગેડુને આખરે ભાન થયું! લલિત મોદીનો યુ-ટર્ન, સરકાર પાસે માફી માગી

ભારતમાં આર્થિક અપરાધી જાહેર કરાયેલા લલિત મોદીનો 22 ડિસેમ્બરે સામે આવેલો વીડિયો ભારે વિવાદનું કારણ બન્યો હતો. આ વીડિયોમાં લલિત મોદી ભાગેડુ વિજય માલ્યા સાથે નજરે પડ્યા હતા અને તેમાં લલિતે પોતાને અને માલ્યાને ભારતના “બે સૌથી મોટા ભાગેડુ” ગણાવ્યા હતા.

વિવાદ વધતા હવે લલિત મોદીએ પોતાના નિવેદન પર માફી માગી છે. લલિત મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે તેમના નિવેદનથી જો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય, ખાસ કરીને ભારત સરકારની, તો તેઓ તેના માટે દિલથી માફી માગે છે.

લલિત મોદીની માફી પોસ્ટમાં શું લખ્યું?

લલિત મોદીએ લખ્યું—

“મારા નિવેદનથી જો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય, ખાસ કરીને ભારત સરકારની, તો હું તેના માટે માફી માંગુ છું. નિવેદનનો આશય તેવો નહોતો, જેવો તેને સમજવામાં આવ્યો. કોઈપણ ગેરસમજણ માટે ફરીથી માફી માંગુ છું.”

વાયરલ વીડિયો શું હતો?

22 ડિસેમ્બરે વિજય માલ્યાના જન્મદિવસ દરમિયાનનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો લલિત મોદીએ પોતે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં વિજય માલ્યા પોતાની પાર્ટનર પિંકી લાલવાણી સાથે હસતા નજરે પડ્યા હતા અને લલિત મોદી મજાકિયા અંદાજમાં પોતાને અને માલ્યાને ભારતના સૌથી મોટા ભાગેડુ કહી રહ્યા હતા.

બોમ્બે હાઈકોર્ટમાં માલ્યાની અરજી પર સુનાવણી

23 ડિસેમ્બરે બોમ્બે હાઈકોર્ટમાં વિજય માલ્યાની અરજી પર સુનાવણી થઈ. માલ્યાએ પોતાને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવાના આદેશને પડકાર્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે માલ્યાના વકીલને સવાલ કર્યો કે માલ્યા ભારત ક્યારે પાછા ફરશે.

ચીફ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર અને જસ્ટિસ ગૌતમ અંખાડની બેન્ચે જણાવ્યું કે માલ્યા હાલ ભારતીય અદાલતના અધિકારક્ષેત્રની બહાર છે, આવી સ્થિતિમાં તેમની અરજી પર સુનાવણી શક્ય નથી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે વિદેશમાં રહીને કાયદાને પડકારવાની મંજૂરી આપવી ન જોઈએ. તેમણે જણાવ્યું કે માલ્યાના પ્રત્યાર્પણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ફોજદારી જવાબદારી અદાલત સમક્ષ હાજર થયા વિના સમાપ્ત કરી શકાતી નથી. હવે કેસની આગામી સુનાવણી 12 ફેબ્રુઆરીએ થશે.

લલિત મોદી ભારતમાંથી કેમ ભાગ્યો?

લલિત મોદી 2005થી 2009 દરમિયાન રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ રહ્યા હતા. 2008માં તેમણે IPLની શરૂઆત કરી અને BCCI દ્વારા IPLના અધ્યક્ષ તથા કમિશનર બનાવવામાં આવ્યા.

2010માં IPLમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા બાદ લલિત મોદી વિવાદમાં આવ્યા. તેમના પર મોરિશિયસની કંપની વર્લ્ડ સ્પોર્ટ્સને 425 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવાનો અને 125 કરોડ રૂપિયાનું કમિશન લેવાનો આરોપ લાગ્યો. સાથે જ નવી ટીમોની હરાજીમાં ખોટી રીતો અપનાવ્યાના આરોપો પણ થયા.

IPLની ત્રીજી સીઝનની ફાઇનલ બાદ BCCIએ લલિત મોદીને સસ્પેન્ડ કરી દીધા. અંડરવર્લ્ડ તરફથી ધમકીઓ મળ્યાનો હવાલો આપતા લલિત મોદી 2010માં ભારત છોડીને લંડન ભાગી ગયા. ત્યારબાદ EDએ તેમની સામે બ્લુ કોર્નર નોટિસ જાહેર કરી અને તેમનો પાસપોર્ટ પણ રદ કરવામાં આવ્યો.

તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.

whatsapp Join WhatsApp Group
Exit mobile version