ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. વલસાડ, નવસારી, સુરત, નર્મદા અને તાપી સહિતના જિલ્લાઓમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ અને રેલવે ટ્રેક પર પાણી ભરાતાં વાહનવ્યવહાર અને ટ્રેન વ્યવહારને પણ ભારે અસર પહોંચી છે. નર્મદામાં ડાયવર્ઝન ધોવાઈ જતાં 7 ગામો સંપર્કવિહોણાં બન્યાં છે, જ્યારે અમદાવાદ-મુંબઈ રૂટની 7 ટ્રેનો રદ કરવામાં આવી છે. બીજી તરફ, સુરતની મીઠી ખાડીમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.
વલસાડમાં 36 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ જિલ્લામાં મેઘરાજાએ તબાહી મચાવી છે. ઉમરગામ તાલુકામાં 35.67 ઈંચ, કપરાડામાં 29 ઈંચ, નાનાપોઢામાં 25.31 ઈંચ અને ધરમપુરમાં 20 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉમરગામમાં માત્ર રાત્રે 1 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં 17.44 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સતત વરસાદને કારણે શહેરમાં નદીઓની જેમ પાણી વહેવા લાગ્યું છે અને અનેક વાહનો પાણીમાં ડૂબી ગયા છે. ફાયર વિભાગ અને રેસ્ક્યૂ ટીમો દ્વારા ફસાયેલા લોકોને બોટની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.
સુરતમાં ખાડીઓ ઓવરફ્લો, 2,244 લોકોનું સ્થળાંતર
સુરતમાં વહેલી સવારે 4થી 8 વાગ્યા દરમિયાન 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભેદવાડ અને સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે. ખાડીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી જતાં 2,244 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભેદવાડ ખાડી અને ક્રિષ્નાનગર વિસ્તારમાં ફાયર વિભાગ દ્વારા બાળકો અને વૃદ્ધો સહિત 30થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
નર્મદામાં 7 ગામો સંપર્કવિહોણાં
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને સાગબારા વિસ્તારમાં ભારે વરસાદથી સ્થિતિ ગંભીર બની છે. ડેડિયાપાડા તાલુકાના ઉમરાણ ગામે ડાયવર્ઝન ધોવાઈ જતાં 7 જેટલાં ગામો સંપૂર્ણપણે સંપર્કવિહોણાં બની ગયા છે. ડેડિયાપાડા અને સાગબારા તરફ જતા મુખ્ય રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. બીજી તરફ, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કરજણ ડેમમાં પાણીની આવક વધી છે. ડેમનું રૂલ લેવલ જાળવવા માટે 2 ગેટ ખોલીને પાણી છોડવાની તૈયારી કરવામાં આવી છે.
અમદાવાદ-મુંબઈ રૂટની 7 ટ્રેન રદ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાતા પશ્ચિમ રેલવેનો વ્યવહાર ખોરવાઈ ગયો છે. અમદાવાદ-મુંબઈ રૂટની 7 મુખ્ય ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે અનેક ટ્રેનો મોડી ચાલી રહી છે. નવસારીથી સુરત અને વાપી તરફ રોજગારી માટે જતા 50 હજારથી વધુ દૈનિક મુસાફરો અને પાસ હોલ્ડરો મુશ્કેલીમાં મુકાયા છે. ટ્રેન સેવા ખોરવાતા મુસાફરો નવસારી રેલવે સ્ટેશન પર અટવાઈ પડ્યા છે. વૈકલ્પિક બસ વ્યવસ્થા ન મળતાં મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે.
રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની મદદ માટે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે અને રદ થયેલી ટ્રેનોના મુસાફરોને રિફંડ આપવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. મુસાફરોને મુસાફરી પહેલાં પોતાની ટ્રેનની નવીનતમ સ્થિતિ તપાસવાની અપીલ કરવામાં આવી છે.
નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી
નવસારીમાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલી પાણીની આવકને કારણે પૂર્ણા નદી ગાંડીતૂર બની છે. નદીનું જળસ્તર ભયજનક સપાટી વટાવી ગયું છે અને શહેરના 15થી વધુ વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે. અસરગ્રસ્તો માટે શાળાઓમાં આશ્રયસ્થાન તૈયાર કરવામાં આવ્યા છે.
સુરતની મીઠી ખાડીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો
સુરતમાં ભારે વરસાદ વચ્ચે મીઠી ખાડીમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. માન દરવાજા અને ડુંભાલ ફાયર સ્ટેશનની ટીમો રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી હતી ત્યારે ખાડીમાં મૃતદેહ હોવાની જાણ થઈ હતી. મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતકની ઓળખ માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
તાપીમાં 11 લોકોનું રેસ્ક્યૂ
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઘોડિયાવાડ વિસ્તારમાં ભારે વરસાદથી પાણી ભરાઈ જતાં 11 લોકો ફસાયા હતા. ઘટનાની જાણ થતાં SDRFની ટીમે સ્થળ પર પહોંચી તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસની ટીમો રાહત અને બચાવ કામગીરી પર નજર રાખી રહી છે.
અમદાવાદમાં પણ જળબંબાકાર
અમદાવાદમાં પણ ભારે વરસાદે મુશ્કેલી વધારી છે. બોપલ, જોધપુર, સેટેલાઈટ, SG હાઈવે, આંબાવાડી અને મકરબા સહિતના વિસ્તારોમાં માત્ર એક કલાકમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. બોપલની કેટલીક સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે. અનેક રસ્તાઓ જળમગ્ન બન્યા છે અને અખબારનગર, ડી કેબિન તથા અન્ય અંડરપાસને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગે આજે મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. 11 જિલ્લામાં ઓરેન્જ અને 10 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. વરસાદ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.
સરકાર એક્શન મોડમાં
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને રેડ એલર્ટની સ્થિતિને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સ્થિતિની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો સાથે સીધી વાતચીત કરી સ્થિતિની માહિતી મેળવવામાં આવી રહી છે. નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. વરિષ્ઠ IAS અધિકારીઓ અને પ્રભારી સચિવોને પણ મેદાનમાં ઉતારી રાહત અને બચાવ કામગીરીનું સંકલન કરવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં ભારે વરસાદને પગલે તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. લોકોને નદી, ખાડી અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા તેમજ જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવા અપીલ કરવામાં આવી છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group