ઇથિયોપિયામાં હેલી ગુબ્બી નામનો અતિ જૂનો અને શાંત જ્વાળામુખી 12 હજાર વર્ષ પછી રવિવારે અચાનક ફાટી નીકળ્યો. આ વિસ્ફોટમાંથી 15 કિમી સુધી રાખ અને સલ્ફર ડાયોક્સાઇડનો ઘેરો ધુમાડો આકાશમાં પહોંચ્યો. રેડ સીને પાર કરતું આ રાખનું મેઘમંડળ યમન અને ઓમાન પરથી પસાર થઈ સોમવારે રાત્રે 11 વાગ્યે દિલ્હી સુધી પહોંચી ગયું.
130 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારત તરફ આગળ વધ્યું વાદળ
વેધર એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ આ રાખનું વાદળ લગભગ 130 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહ્યું હતું. વેધર મોનિટરિંગ ટીમે જણાવ્યું કે રાખનો પ્રથમ ગુબાર પશ્ચિમ રાજસ્થાનના જોધપુર–જેસલમેર વિસ્તારથી ભારતમાં પ્રવેશ્યો અને ત્યારબાદ રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી ફેલાયો.
નિષ્ણાતોનું કહેવું છે કે આ વાદળનો એક ભાગ ગુજરાતને પણ સ્પર્શી શકે છે. રાત્રે પંજાબ, પશ્ચિમ યૂપીના પહાડી વિસ્તારો અને હિમાચલ પર તેની અસર દેખાવાની શક્યતા છે.
રાખ 45,000 ફૂટ સુધી—જમીન પર ઓછો ખતરો, પણ ફ્લાઇટ્સ માટે જોખમ
આ રાખનું વાદળ 25,000 થી 45,000 ફૂટની ઊંચાઈએ ફેલાયેલું હોવાથી જમીન પરના લોકો માટે મોટો ખતરો નથી. પરંતુ વિમાનો માટે આ પરિસ્થિતિ જોખમી છે, કારણ કે રાખના સૂક્ષ્મ કણો એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે.
તે કારણે અનેક એરલાઇન્સે તેમની ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. દિલ્હી અને જયપુર સહિતના એર રુટ્સ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે મંગળવારે સૂર્યોદય સમયે આકાશ થોડું વિચિત્ર અને રંગીન દેખાઈ શકે છે.
DGCAએ તાત્કાલિક ગાઇડલાઇન જાહેર કરી
ભારતના ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) એ તમામ એરલાઇન અને એરપોર્ટને સાવચેતી રાખવા માટે સૂચનાઓ બહાર પાડી છે:
- રાખવાળા વિસ્તારો ઉપર વિમાનોને ન ઉડાડવા
- ફ્લાઇટ રૂટ અને પ્લાનિંગમાં ફેરફાર કરવા
- જો કોઈ વિમાન રાખને સ્પર્શે તો તરત રિપોર્ટ કરવાની ફરજ
- એરપોર્ટ પર રનવે, ટેક્સીવે અને એપ્રોનનું નિરીક્ષણ કરવાની ફરજ
DGCAએ કહ્યું કે હાલ ભારતની ઉપર રહેલી રાખ ખૂબ ઊંચાઈએ છે, એટલે ટેકઓફ અને લેન્ડિંગ પર મોટો ખતરો નથી, છતાં સાવચેતી જરૂરી છે.
ફ્લાઇટ્સ રદ—કેટલીક આંતરરાષ્ટ્રીય રૂટ ચેન્જ થશે
મુસાફરોને ખાસ ચેતવણી અપાઈ છે કે તેઓ એરપોર્ટ જતાં પહેલાં પોતાની ફ્લાઇટ્સની સ્થિતિ ચોક્કસ ચેક કરી લે.
- અકાસા એરે 24 અને 25 નવેમ્બરની જેદ્દાહ, કુવૈત અને અબુ ધાબીની ફ્લાઇટ્સ રદ કરી.
- ઇન્ડિગો પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને મુસાફરોની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપી રહ્યું છે.
- એર ઇન્ડિયાએ જણાવ્યું કે હાલમાં તેમની ફ્લાઇટ્સ પર મોટો પ્રભાવ નથી, છતાં તેઓ સતર્ક છે.
- KLMએ એમ્સ્ટરડેમથી દિલ્હીની ફ્લાઇટ રદ કરી દીધી છે.
નિષ્ણાતોનો અપડેટ
વેધર વિશ્લેષણ મુજબ રાખનો પ્લુમ મુખ્યત્વે સલ્ફર ડાયોક્સાઇડનો બનેલો છે અને તેની સાંદ્રતા ઓછા થી મધ્યમ સ્તર વચ્ચે છે. આ વાદળ હવે ઓમાન–અરબી સમુદ્ર પરથી ઉત્તર અને મધ્ય ભારતના વિસ્તારો સુધી ફેલાઈ ગયું છે. AQI પર મોટો પ્રભાવ નહીં પડે, પણ પહાડી વિસ્તારોમાં SO₂ સ્તર વધી શકે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group