દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સાંજે 6:52 વાગ્યે એક ચાલતી કારમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ એટલો ભયાવહ હતો કે નજીકના વાહનોના ચીંથરા ઉડી ગયા. વિસ્ફોટમાં 11 લોકોના મોત થયાના અહેવાલ હતા, પરંતુ ઘટનાના ત્રણ કલાક પછી ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે 8 લોકોના મોત થયા છે. હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જણાવાયું હતું કે 9 લોકોના મોત થયા છે.
શાહે જણાવ્યું હતું કે વિસ્ફોટ i-20 કારના પાછળના ભાગમાં થયો હતો. આ કાર હરિયાણાના ગુરુગ્રામમાં સલમાનના નામે નોંધાયેલી હતી. પોલીસે સલમાનની અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરી રહી છે.
દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલચાએ જણાવ્યું હતું કે વિસ્ફોટ ફોર્ટ મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે થયો હતો. અકસ્માતમાં 24 લોકો ઘાયલ થયા હતા અને તેમને LNGP હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
શાહ હોસ્પિટલ અને ઘટના સ્થળે પહોંચ્યા
ઘટના બાદ શાહ LNJP હોસ્પિટલ પહોંચ્યા. તેઓ ઘટના સ્થળે પણ ગયા. દરમિયાન, પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે. ફોરેન્સિક ટીમો પહોંચી ગઈ છે. આસપાસના વિસ્તારના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. NIA અને NSGને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.
આ પહેલા પીએમ મોદીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરીને ઘટના અંગે પૂછપરછ કરી હતી. વિસ્ફોટ બાદ ગુજરાત, દિલ્હી, મુંબઈ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, પંજાબ અને ઉત્તરાખંડમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group