બ્રિટનમાં રહેતી ભારતીય મૂળની મહિલા પ્રેમા વાંગજોમે આરોપ લગાવ્યો છે કે ચીનના શાંઘાઈ એરપોર્ટ પર ચીની ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા તેમને કલાકો સુધી અટકાયતમાં રાખવામાં આવ્યા હતા અને હેરાન કરવામાં આવ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પ્રેમાએ કહ્યું કે ચીની અધિકારીઓએ તેમના ભારતીય પાસપોર્ટને સ્વીકારવાની ના પાડી હતી કારણ કે તેમાં અરુણાચલ પ્રદેશને તેમનું જન્મસ્થળ તરીકે દર્શાવવામાં આવ્યું હતું. તે 21 નવેમ્બરના રોજ લંડનથી જાપાનની મુસાફરી કરી રહી હતી. શાંઘાઈ પુડોંગ એરપોર્ટ પર તેમનો ત્રણ કલાકનો ટ્રાન્ઝિટ હતો.
પ્રેમાએ આરોપ લગાવ્યો કે ઇમિગ્રેશન કાઉન્ટરના અધિકારીઓએ તેમના પાસપોર્ટને “અમાન્ય” જાહેર કર્યો અને કહ્યું કે અરુણાચલ પ્રદેશ ચીનનો ભાગ છે. 18 કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી અને તેમની મજાક ઉડાવવામાં આવી.
પ્રેમાએ આ અંગે પીએમ મોદી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને ફરિયાદ પત્ર લખ્યો છે અને આ વર્તનને ભારતની સાર્વભૌમત્વ અને અરુણાચલ પ્રદેશના નાગરિકોનું અપમાન ગણાવ્યું છે.
પાસપોર્ટ જપ્ત કર્યો, ફ્લાઇટમાં ચઢવા ન દીધી
પ્રેમાએ આરોપ લગાવ્યો કે તેનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો હતો અને કાયદેસર વિઝા હોવા છતાં તેને જાપાનની આગામી ફ્લાઇટમાં ચઢવા દેવામાં આવી ન હતી.
પ્રેમાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ત્યાં હાજર ઘણા ઇમિગ્રેશન અધિકારીઓ અને ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સના કર્મચારીઓ તેની મજાક ઉડાવતા રહ્યા, હસતા રહ્યા અને ચીની પાસપોર્ટ માટે અરજી કરવા માટે તેને ટોણો મારતા રહ્યા.
પ્રેમાએ કહ્યું કે જે 3 કલાકનો ટ્રાઝિટ હોવો જોઈતો હતો તે તેના માટે 18 કલાકની કઠોર કસોટીમાં ફેરવાઈ ગયો. તેણે કહ્યું કે આ દરમિયાન તેને યોગ્ય જાણકારી આપવામાં આવી નહીં, ન ભોજન મળ્યું કે પછી એરપોર્ટ સુવિધાઓની મંજૂરી પણ આપવામાં આવી ન હતી.
પ્રેમા ભારતીય દૂતાવાસની મદદથી બહાર આવી
ટ્રાન્ઝિટ ઝોનમાં ફસાઈ જવાથી તે નવી ટિકિટ બુક કરાવી શકતી નહોતી, ખોરાક ખરીદી શકતી નહોતી કે પછી એક ટર્મિનલથી બીજા ટર્મિનલ પર મુસાફરી કરી શકતી નહોતી.
પ્રેમાએ દાવો કર્યો કે અધિકારીઓએ સતત દબાણ કર્યું કે તેઓ ચાઈના ઈસ્ટર્નની જ નવી ટિકિટ ખરીદશે ત્યારે જ તેમને પાસપોર્ટ પરત કરવામાં આવશે. આવું કરવાથી તેમને ફ્લાઇટ અને હોટલ બુકિંગના રૂપિયાનું ભારે નુકસાન પણ થયું.
આખરે પ્રેમાએ બ્રિટનમાં રહેલી તેની એક મિત્રની મદદથી શંઘાઈમાં ભારતીય દૂતાવાસ સાથે સંપર્ક કર્યો. ભારતીય અધિકારીઓએ તેમને રાતની એક ફ્લાઇટમાં બેસાડી શંઘાઈમાંથી બહાર નીકળવામાં મદદ કરી.
તેમણે ભારતીય સરકાર પાસે માગ કરી છે કે આ મુદ્દાને બીજિંગ સામે ઉઠાવવામાં આવે અને ઇમિગ્રેશન અધિકારીઓ અને એરલાઇન્સ સ્ટાફ પર કાર્યવાહીની માગ કરે. સાથે જ એવું પણ સુનિશ્ચિત કરવામાં આવે કે ભવિષ્યમાં અરૂણાચલ પ્રદેશના ભારતીય નાગરિકોને આવી પરેશાની ન ભોગવવી પડે.
ચીન અરુણાચલ પ્રદેશને પોતાનો ભાગ માને છે
ચીન સતત દાવો કરે છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો નહીં પણ તેમનો ભાગ છે. આ જ કારણ છે કે તેઓ ઘણીવાર ભારતીય નાગરિકો, ખાસ કરીને અરુણાચલ પ્રદેશમાં જન્મેલા લોકોના દસ્તાવેજોને માન્યતા આપવાનો ઇનકાર કરે છે.
ચીન કહે છે કે તે અરુણાચલને દક્ષિણ તિબેટ માને છે, જ્યારે ભારત સ્પષ્ટપણે કહે છે કે અરુણાચલ પ્રદેશ હંમેશા ભારતનું અભિન્ન રાજ્ય રહ્યું છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group