વસારી જિલ્લાના બીલીમોરા તાલુકાના દેવસર ગામમાં ફિલ્મ ‘વશ’ જેવી હૃદય કંપાવી મૂકે એવી ઘટના સામે આવી છે. મહારાજા એપાર્ટમેન્ટમાં રહેતા મુળ ઉત્તર પ્રદેશના શર્મા પરિવારમાં મધરાતે એક માતાએ સપનામાં મળેલા “આદેશ”ના કારણે પોતાના બે નાના સંતાનોની ગળું દબાવીને હત્યા કરી દીધી. ત્યાર બાદ મહિલાએ પોતાના સસરા પર પણ હુમલો કર્યો હતો.
સપનામાં ‘બાળકોને મારી નાખ’ એવો અવાજ સંભળાયો
પોલીસ સૂત્રો મુજબ, રાત્રે લગભગ 1:30 વાગ્યે મહિલાને સપનામાં અવાજ સંભળાયો કે—
“તારાં બાળકોને મારી નાખ.”
આથી ગભરાયેલી મહિલા જાગી અને બાજુમાં સૂતાં પોતાના બે બાળકોનું ગળું દબાવી દીધું.
સસરાનો જીવ ભાગી છૂટવાથી બચ્યો
બાળકોની હત્યા કર્યા બાદ મહિલાએ પોતાના સસરા પર ગ્લાસ વડે હુમલો કર્યો અને બચકું ભરીને તેમનો કાન તોડી નાખ્યો હતો. સસરા ભાગી છૂટ્યા અને બૂમાબૂમ કરતાં બિલ્ડિંગના અન્ય લોકો ભેગા થઈ ગયા, જેથી વધુ મોટો અકસ્માત ટળી ગયો.
પોલીસે કાર્યવાહી શરૂ કરી
સ્થળ પરથી મળેલા પ્રાથમિક પુરાવા અને સસરાના નિવેદનના આધારે મહિલાને કસ્ટડીમાં લઈ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. શું આ માનસિક અસંતુલન, અંધશ્રદ્ધા કે કોઈ અન્ય કારણનો પરિણામ છે, તે અંગે તપાસ ચાલી રહી છે.
પોલીસ ઘરનો દરવાજો તોડીને ઘરમાં પ્રવેશી
ઘરની આગળ ટોળું એકઠું થતાં મહિલાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. આ દરમિયાન 2.30 વાગ્યે પોલીસકાફલાએ ઘટનાસ્થળે પહોંચી દરવાજો તોડ્યો તો મહિલા બાળકોની લાશ જોડે બેઠી હતી. પોલીસે મહિલાને ઝડપીને બંને બાળકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને આગળની કાર્યાવહી હાથ ધરી છે. મહિલાના પતિને ટાઈફોઈડ હોવાથી તે બીલીમોરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
માતાએ ‘કંઇક અવાજ સંભળાયો’ કહી બે સંતાનનું ગળું દબાવ્યું: DySPનો ખુલાસો
નવસારીના બીલીમોરા તાલુકાના દેવસર ગામમાં બનેલી ડરાવની ઘટનાને લઈને DySP ભગીરથસિંહ ગોહિલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા મુજબ, મુળ ઉત્તર પ્રદેશના અને હાલ દેવસરમાં રહેતા 60 વર્ષીય ઇન્દ્રપાલ શર્માએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પિતા હોસ્પિટલમાં, માતાએ મોડી રાત્રે બે સંતાનની હત્યા કરી
DySPએ જણાવ્યું કે ઇન્દ્રપાલ શર્માનાં દીકરા શિવાકાન્તને ટાઈફોઇડ હોવાથી તે છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલમાં દાખલ છે. ગઇ સાંજે ઇન્દ્રપાલ શર્મા તેમનો ટિફિન આપી ઘરે પરત આવ્યા અને સૂઇ ગયા.
મધરાત બાદ શિવાકાન્તની પત્ની સુનિતાને કંઇક અવાજ સંભળાયો, જેના પ્રભાવમાં આવી તેણે પોતાના જ બાળકો— 7 વર્ષીય પુત્ર હર્ષ, અને 4 વર્ષીય વેદ નું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધા.
પોલીસે તપાસ તેજ કરી
ઘટના બાદ સસરાના નિવેદનોના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે મહિલાને કસ્ટડીમાં લઇ વધુ માનસિક, આધ્યાત્મિક માન્યતાઓ અને ઘરેલુ પરિસ્થિતિઓ સહિતના તમામ એંગલ પરથી તપાસ શરૂ કરી છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group