ગુજરાતમાં ચાલી રહેલી વસતી ગણતરીની કામગીરી દરમિયાન રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓને પણ ગણતરીકાર અને સુપરવાઇઝર તરીકે નિયુક્ત કરવાના નિર્ણય સામે હવે કાનૂની વિવાદ ઊભો થયો છે. સુરત સ્થિત બેંક ઓફ ઈન્ડિયાના કર્મચારીઓએ આ નિર્ણયને પડકારતા ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને વસતી ગણતરીની ફરજ સોંપતા આદેશ પર સ્ટે મૂકવાની માંગણી કરી છે. હાઈકોર્ટે આ મામલે સંબંધિત ઓથોરિટીઓને નોટિસ પાઠવી 10 જૂન સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.
બેંક ઓફ ઈન્ડિયાના કર્મચારીઓએ હાઈકોર્ટમાં કેમ કરી અરજી?
બેંક ઓફ ઈન્ડિયા ઓફિસર્સ એસોસિએશન દ્વારા સુરત શહેરના વસતી ગણતરી અધિકારી અને સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા 12 મેના રોજ જારી કરાયેલા આદેશને પડકારવામાં આવ્યો છે. આ આદેશ હેઠળ બેંકના અધિકારીઓ અને કર્મચારીઓને વસતી ગણતરી અધિનિયમની કલમ-4 હેઠળ વસતી ગણતરીની કામગીરી સોંપવામાં આવી હતી.
અરજદારોનું કહેવું છે કે બેંક ઓફ ઈન્ડિયા કોઈ સ્થાનિક સત્તા મંડળ (Local Authority) નથી, તેથી તેના કર્મચારીઓને વસતી ગણતરી માટે ફરજિયાત રીતે નિયુક્ત કરી શકાય નહીં. આ અંગે તેમણે અગાઉ સંબંધિત સત્તાધિકારી સમક્ષ રજૂઆત પણ કરી હતી, પરંતુ તે ફગાવી દેવામાં આવી હતી.
LIC કેસનો હવાલો આપી સ્ટેની માંગ
અરજદારોએ પોતાની અરજીમાં વસતી ગણતરી અધિનિયમની કલમ 4Aનો ઉલ્લેખ કરીને દલીલ કરી છે કે વસતી ગણતરી માટે મુખ્યત્વે સ્થાનિક સત્તા મંડળોના કર્મચારીઓની સેવા લેવામાં આવી શકે છે.
કોર્ટમાં રજૂઆત દરમિયાન અરજદાર પક્ષે વર્ષ 2011ની વસતી ગણતરી દરમિયાન LICના 339 કર્મચારીઓને સોંપાયેલી ફરજો સામે આપવામાં આવેલા હાઈકોર્ટના ચુકાદાનો હવાલો આપ્યો હતો. તે સમયે સિંગલ જજ બેન્ચે LIC કર્મચારીઓને ગણતરીકાર અને સુપરવાઇઝર તરીકે નિયુક્ત કરતી નોટિસો રદ કરી દીધી હતી. બાદમાં વર્ષ 2019માં ડિવિઝન બેન્ચે પણ આ નિર્ણયને યથાવત રાખ્યો હતો.
બેંક કર્મચારીઓનું કહેવું છે કે LICની જેમ બેંક ઓફ ઈન્ડિયા પણ સ્થાનિક સત્તા મંડળ નથી, તેથી તેમના કર્મચારીઓને પણ આવી ફરજ સોંપી શકાય નહીં.
હાઈકોર્ટે શું કહ્યું?
અરજદારોએ તાત્કાલિક સ્ટે આપવાની માંગ કરી હતી. જોકે હાઈકોર્ટે નોંધ્યું કે વસતી ગણતરીની પ્રક્રિયા લાંબા ગાળાની છે અને તેની શરૂઆત થઈ ચૂકી છે. તેથી તાત્કાલિક સ્ટે આપવાને બદલે કોર્ટે ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર સહિત સંબંધિત સત્તાધિકારીઓને નોટિસ પાઠવી છે.
હાઈકોર્ટે તમામ પક્ષોને 10 જૂન સુધીમાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે અને ત્યારબાદ વધુ સુનાવણી હાથ ધરાશે.
સુરતમાં તાલીમ કાર્યક્રમમાં 1,775 કર્મચારીઓ ગેરહાજર
આ સમગ્ર વિવાદ વચ્ચે સુરતમાં વસતી ગણતરી માટે આયોજિત તાલીમ કાર્યક્રમમાં બેંક કર્મચારીઓની ભારે ગેરહાજરી પણ ચર્ચાનો વિષય બની છે.
ડિજિટલ વસતી ગણતરી માટે કુલ 1,997 બેંક કર્મચારીઓને તાલીમ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેમાં માત્ર 222 કર્મચારીઓ જ હાજર રહ્યા હતા. આશ્ચર્યજનક રીતે 1,775 કર્મચારીઓ ગેરહાજર રહ્યા હતા.
આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓ ગેરહાજર રહેતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને ગંભીર નોંધ લીધી હતી અને તમામ ગેરહાજર કર્મચારીઓને શો-કોઝ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો હતો.
ગુજરાતમાં શરૂ થઈ ડિજિટલ વસતી ગણતરી
ગુજરાત સહિત સમગ્ર દેશમાં 1 જૂનથી ‘વસતી ગણતરી-2027’ના પ્રથમ તબક્કાનો પ્રારંભ થયો છે. દેશની 16મી અને સ્વતંત્રતા બાદની 8મી જનગણના તરીકે નોંધાઈ રહેલી આ પ્રક્રિયા પ્રથમ વખત સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવી રહી છે.
ગુજરાતમાં આ મહાઅભિયાન માટે અંદાજે 1.10 લાખ ગણતરીકારો અને 12 હજાર સુપરવાઇઝરોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. રાજ્ય સરકાર અને વસતી ગણતરી તંત્ર દ્વારા નાગરિકોને સાચી માહિતી આપવા અને આ પ્રક્રિયામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
હવે સૌની નજર 10 જૂનની સુનાવણી પર
બેંક ઓફ ઈન્ડિયાના કર્મચારીઓની અરજી બાદ વસતી ગણતરીની કામગીરીમાં રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓને સામેલ કરવાની કાનૂની માન્યતા અંગે મહત્વપૂર્ણ ચર્ચા શરૂ થઈ છે. હવે 10 જૂનની આગામી સુનાવણી દરમિયાન હાઈકોર્ટ આ મુદ્દે શું અભિપ્રાય આપે છે તેના પર રાજ્યભરના હજારો બેંક કર્મચારીઓની નજર ટકેલી છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group