ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ની T-20 વર્લ્ડ કપ મેચોના સ્થળ બદલવાની માગને સખત શબ્દોમાં ફગાવી દીધી છે. ICCએ સ્પષ્ટ કરી દીધું છે કે બાંગ્લાદેશને તેની તમામ લીગ મેચો ભારતમાં જ રમવી પડશે. જો ટીમ ભારત આવવાનું ઇનકાર કરશે, તો તેને વર્લ્ડ કપના પોઈન્ટ્સ ગુમાવવાનો સામનો કરવો પડશે.
BCBએ સુરક્ષા કારણોનો હવાલો આપીને ICCને અપીલ કરી હતી કે બાંગ્લાદેશની મેચો શ્રીલંકામાં ખસેડવામાં આવે. આ માગ પાછળ મુખ્ય કારણ તરીકે બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી બહાર કરવામાં આવ્યાનો મુદ્દો સામે આવ્યો હતો.
મુંબઈમાં ICC–BCCI બેઠક બાદ નિર્ણય
ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, મંગળવારે ICCના અધ્યક્ષ જય શાહ મુંબઈમાં હાજર હતા. અહીં તેમણે પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધિકારીઓ સાથે બેઠક કરી અને બાદમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી. બેઠક બાદ ICCએ સ્પષ્ટ નિર્ણય આપ્યો કે વર્લ્ડ કપના સ્થળમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
શું છે મુસ્તફિઝુર રહેમાનનો વિવાદ?
16 ડિસેમ્બરે IPL મિની ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાના કેસો સામે આવતા ભારતમાં મુસ્તફિઝુરના વિરોધ શરૂ થયા હતા. અત્યાર સુધી બાંગ્લાદેશમાં 6 હિંદુઓની હત્યાની ઘટનાઓ સામે આવી છે.
આ સ્થિતિને ધ્યાને લઈ BCCIએ મુસ્તફિઝુરને IPL રમવાની મંજૂરી આપી નહોતી. ત્યારબાદ 3 જાન્યુઆરીએ KKRએ તેને ટીમમાંથી રિલીઝ કરી દીધો. મુસ્તફિઝુર રહેમાન અગાઉ ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી IPL રમ્યો હતો.
IPL પ્રસારણ પર પ્રતિબંધ
મુસ્તફિઝુરને KKRમાંથી બહાર કર્યા બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને ત્યાંની સરકારે દેશમાં IPLના પ્રસારણ પર પ્રતિબંધ મૂકી દીધો. સાથે જ બાંગ્લાદેશે ભારતમાં T-20 વર્લ્ડ કપની મેચો રમવાનો ઇનકાર કર્યો અને ICCને સ્થળ બદલવા માટે ઈ-મેલ મોકલ્યો હતો.
ગ્રુપ-સીમાં છે બાંગ્લાદેશ
T-20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશને ગ્રુપ-સીમાં સ્થાન મળ્યું છે. ટીમ 7 ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડીઝ, 9 ફેબ્રુઆરીએ ઈટાલી અને 14 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામે મેચ રમશે. આ ત્રણેય મેચ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં યોજાવાની છે. ત્યારબાદ 17 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ મુંબઈમાં નેપાળ સામે પોતાની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ રમશે.
પાકિસ્તાનની મેચો શ્રીલંકામાં
T-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન પહેલેથી જ પોતાની મેચો શ્રીલંકામાં શિફ્ટ કરી ચૂક્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય સંબંધોને કારણે બંને ટીમો એકબીજાના દેશમાં ક્રિકેટ રમતી નથી. ગયા વર્ષે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો પાકિસ્તાનમાં રમી નહોતી. હવે T-20 વર્લ્ડ કપમાં પણ ભારત–પાકિસ્તાન મેચ શ્રીલંકાના કોલંબોમાં રમાશે.
ICCના આ નિર્ણય બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે બાંગ્લાદેશ પાસે હવે ભારત આવીને મેચ રમવા સિવાય કોઈ વિકલ્પ નથી. નહીં તો તેને વર્લ્ડ કપમાં મોટું નુકસાન સહન કરવું પડશે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group