બાંગ્લાદેશમાં હિંદુ અલ્પસંખ્યક સમુદાય સામે વધતી હિંસાનો વધુ એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. ઝેનાઈદહ જિલ્લાના કાલીગંજ વિસ્તારમાં 44 વર્ષીય એક હિંદુ વિધવા મહિલા સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ દુષ્કર્મ કર્યા બાદ મહિલાને ઝાડ સાથે બાંધીને નિર્દયતાપૂર્વક માર માર્યો, તેના વાળ કાપી નાખ્યા અને સમગ્ર ઘટનાનો મોબાઈલમાં વીડિયો પણ બનાવ્યો હોવાનો આરોપ છે.
પીડિત મહિલાએ સોમવારે બપોરે કાલીગંજ પોલીસ સ્ટેશનમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે હસન (ઉં.વ. 45) નામના એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે બાકીના આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. હસન તે જ વિસ્તારના એક ગામનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસ અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પીડિત મહિલાએ લગભગ બે વર્ષ પહેલાં ગામમાં એક ઘર અને જમીન ખરીદી હતી. આ જમીન તેણે આરોપી શાહીનના ભાઈ પાસેથી લીધી હતી. જમીન ખરીદ્યા બાદથી જ શાહીન મહિલાને સતત હેરાન કરતો હતો અને તેની પાસેથી પૈસાની માંગ કરતો હતો.
શનિવારે સાંજે મહિલાના બે પુરુષ સંબંધીઓ તેને મળવા માટે તેના ઘરે આવ્યા હતા. તે દરમિયાન શાહીન અને હસન બળજબરીથી ઘરમાં ઘૂસી આવ્યા. આરોપીઓએ મહિલાના સંબંધીઓને એક રૂમમાં બંધ કરી દીધા અને મહિલાને બીજા રૂમમાં લઈ જઈને ગેંગરેપ કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
રેપ બાદ આરોપીઓએ મહિલાને અને તેના સંબંધીઓને ઘરની બહાર ખેંચીને ઝાડ સાથે બાંધી દીધા અને તેમના પર અશ્લીલ પ્રવૃત્તિઓમાં સંડોવણીના ખોટા આરોપ લગાવી જાહેર રીતે અપમાનિત કર્યા. આ દરમિયાન મહિલાની સાથે મારપીટ કરવામાં આવી અને તેના વાળ કાપી નાખવામાં આવ્યા. સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.
મહિલા પોતાના 10 વર્ષના પુત્ર સાથે તે જ ગામમાં રહે છે. શનિવારે રાત્રે સ્થાનિક લોકોએ મહિલાને ગંભીર હાલતમાં જોઈ અને તરત જ કાલિગંજ વિસ્તારની હોસ્પિટલમાં દાખલ કરી હતી. હાલ મહિલાની સારવાર ચાલી રહી છે.
પીડિત મહિલાએ પોલીસને જણાવ્યું કે જમીન ખરીદ્યા બાદથી જ આરોપીઓ તેને ધમકાવતા અને ડરાવતા રહ્યા હતા. કાલિગંજ પોલીસ સ્ટેશનના ઓફિસર-ઇન-ચાર્જ જેલાલ હુસૈને જણાવ્યું કે મહિલાની હોસ્પિટલમાં સારવાર ચાલતી હોવાથી ફરિયાદ નોંધવામાં થોડી મોડાશી થઈ. હાલ એક આરોપીની ધરપકડ થઈ ચૂકી છે અને બાકીના આરોપીઓને પકડવા માટે છાપેમારી હાથ ધરવામાં આવી છે. પોલીસે કહ્યું કે કેસની તપાસ ગંભીરતાથી કરવામાં આવી રહી છે અને દોષિતોને કડક સજા અપાવવા માટે તમામ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
18 દિવસમાં 4 હિંદુઓની હત્યા, અલ્પસંખ્યકોની સુરક્ષા પર સવાલ
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં છેલ્લા ત્રણ અઠવાડિયામાં હિંદુ સમુદાય સામે હિંસાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. માત્ર 18 દિવસમાં ચાર હિંદુઓની હત્યા થઈ ચૂકી છે. જેસોર જિલ્લાના મોનિરામપુર વિસ્તારમાં સોમવારે સાંજે એક હિંદુ વેપારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
મૃતકનું નામ રાણા પ્રતાપ બૈરાગી (ઉં.વ. 38) હતું. તેઓ છેલ્લા બે વર્ષથી કોપાલિયા બજારમાં બરફ બનાવવાની ફેક્ટરી ચલાવતા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સાંજે લગભગ 6 વાગ્યે કેટલાક લોકોએ તેમને કામના સ્થળેથી બહાર બોલાવી નજીકની ગલીમાં લઈ ગયા અને ત્યાં અચાનક ગોળીબાર કર્યો. હુમલાખોરો મોટરસાયકલ પર આવ્યા હતા અને ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા.
પોલીસે ઘટનાસ્થળેથી સાત ખાલી કારતૂસ જપ્ત કર્યા છે. આ પહેલાં 18 ડિસેમ્બરે દીપુ ચંદ્રની હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ 24 ડિસેમ્બરે ભીડે એક હિંદુ યુવકની માર મારીને હત્યા કરી હતી. આ ઉપરાંત 24 અને 29 ડિસેમ્બરે પણ બે હિંદુઓની હત્યાની ઘટનાઓ સામે આવી હતી.
બાંગ્લાદેશમાં હિંદુ અલ્પસંખ્યકો સામે વધી રહેલી હિંસા અને મહિલાઓ પર થતા અમાનવીય અત્યાચારોએ દેશમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અને અલ્પસંખ્યકોની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group