દેશવ્યાપી કેમિસ્ટ હડતાળના ભાગરૂપે આજે (20 મે) ગુજરાતના 35 હજારથી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા. ઓનલાઈન દવા વેચાણ, ગેરકાયદેસર ઈ-ફાર્મસી અને ડુપ્લિકેટ દવાઓના મુદ્દે સરકાર દ્વારા કોઈ નક્કર નિર્ણય ન લેવાતા કેમિસ્ટ એસોસિએશનોએ એક દિવસીય હડતાળનું એલાન આપ્યું છે. જેના કારણે અમદાવાદ, સુરત, વડોદરા સહિત રાજ્યભરમાં દર્દીઓ અને તેમના પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ અને વી.એસ. હોસ્પિટલ બહારના મોટાભાગના મેડિકલ સ્ટોર્સ બંધ જોવા મળ્યા હતા. દીકરાના ઓપરેશન માટે દવા લેવા આવેલા પ્રશાંત નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, “સવારથી દવા માટે ફરું છું, પરંતુ ક્યાંય મેડિસિન મળી રહી નથી. દીકરાનું ઓપરેશન છે અને દવા લેવી જરૂરી છે.”
સુરતમાં પણ હડતાળની વ્યાપક અસર જોવા મળી હતી. વરાછાથી આવેલા કેતન પટેલે જણાવ્યું હતું કે, “મમ્મી માટે બ્લડ પ્રેશરની દવા લેવા આવ્યો છું. રસ્તામાં બધા મેડિકલ સ્ટોર્સ બંધ હતા. આશરે 5 કિલોમીટર ફર્યો છતાં દવા મળી નથી.” સુરત શહેર અને જિલ્લામાં આશરે 6 હજાર કેમિસ્ટો હડતાળમાં જોડાયા હોવાનું જાણવા મળ્યું છે.
કેમિસ્ટોની મુખ્ય માંગ શું?
ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશુભાઈ પટેલના જણાવ્યા અનુસાર, કોરોનાકાળ દરમિયાન હોમ ડિલિવરી માટે આપવામાં આવેલી છૂટછાટનો આજે ઓનલાઈન દવા વેચાણમાં દુરુપયોગ થઈ રહ્યો છે. તેમના કહેવા મુજબ, પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત અને નકલી દવાઓનું વેચાણ વધી રહ્યું છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો બની શકે છે.
કેમિસ્ટ એસોસિએશનનો આક્ષેપ છે કે કોર્પોરેટ અને ઓનલાઈન પ્લેટફોર્મ્સ ભારે ડિસ્કાઉન્ટ આપી નાના વેપારીઓનો વ્યવસાય છીનવી રહ્યા છે. એસોસિએશને સરકાર પાસે ગેરકાયદેસર ઈ-ફાર્મસી પર પ્રતિબંધ અને ડુપ્લિકેટ દવાઓ સામે કડક કાયદો બનાવવાની માંગ કરી છે.
ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશનના ઉપપ્રમુખ મયુરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, “ફાર્માસિસ્ટ વગર દવા આપવી જોખમી છે. ઓનલાઈન ડિલિવરીમાં દવાની ગુણવત્તા અને સ્ટોરેજના નિયમો જળવાતા નથી, જેના કારણે દર્દીઓને નુકસાન થઈ શકે છે.”
વડોદરામાં મિશ્ર પ્રતિસાદ
વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનમાં બંધ મુદ્દે મતભેદ જોવા મળ્યા હતા. કેટલાક મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા, જ્યારે કેટલાક વેપારીઓએ ઈમરજન્સી સેવાઓને ધ્યાનમાં રાખીને દુકાનો ખુલ્લી રાખી હતી.
વડોદરાના મેડિકલ સ્ટોર સંચાલક શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, “દવા સેવા એ ઈમરજન્સી સેવા છે. દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે અમે દુકાન ચાલુ રાખી છે.”
અચોક્કસ મુદતની હડતાળની ચીમકી
સુરત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, “જો સરકાર અમારી રજૂઆતો નહીં સાંભળે તો ભવિષ્યમાં અચોક્કસ મુદતની હડતાળ તરફ પણ જવું પડી શકે છે.”
જો કે, દર્દીઓને ઈમરજન્સી સમયમાં મુશ્કેલી ન પડે તે માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા રાજ્યભરમાં ખુલ્લા રહેનારા 832 મેડિકલ સ્ટોર્સની યાદી જાહેર કરવામાં આવી છે. જ્યાંથી દર્દીઓને જરૂરી દવાઓ મળી શકશે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group