એન્ટરટેનમેન્ટ

ઉર્ફી જાવેદે ઇસ્લામમાંથી બહાર કાઢ્યાનો દાવો ફગાવ્યો, કહ્યું – “હું ધર્મમાં માનતી જ નથી”

એક્ટ્રેસ ઉર્ફી જાવેદ ફરી એકવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચાના કેન્દ્રમાં છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો હતો કે ઉર્ફી જાવેદને ઇસ્લામમાંથી તગેડી મૂકી દેવામાં આવી છે અને હવે તેમનું નામ બદલીને ગીતા ભારદ્વાજ રાખવામાં આવ્યું છે. આ દાવાઓ બાદ ઉર્ફી જાવેદે ખુદ સામે આવીને સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે અને અફવાઓને સંપૂર્ણપણે નકારી કાઢી છે.

ઉર્ફી જાવેદે IANSને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, “મને ક્યારે ઇસ્લામમાંથી કાઢી મૂકવામાં આવી? હું તો ઘણા સમય પહેલા જ પોતે જ બહાર આવી ચૂકી છું. આ સવાલ જ બિનજરૂરી છે.” તેણે વધુમાં કહ્યું કે તે કોઈ ધર્મમાં માનતી નથી અને પોતાને નાસ્તિક માને છે. આવી સ્થિતિમાં તેને કોઈ પણ ધર્મમાંથી કાઢી મૂકવાની વાત જ બિનઆધારભૂત છે.

નામ બદલીને ગીતા ભારદ્વાજ રાખવાના દાવા પર ઉર્ફીએ કહ્યું, “આ કોણે કહ્યું? કોઈ અધિકૃત રિપોર્ટ નથી. લોકો જાતે જ કહાણીઓ બનાવી રહ્યા છે. હું કોઈ ધર્મ માનતી નથી. હું નાસ્તિક છું, તો મને ક્યાંથી કાઢશો? જેનું કોઈ ધર્મ સાથે જોડાણ જ નથી, તેને બહાર કાઢવાની વાત કેવી રીતે થઈ શકે?”

અફવાઓ કેવી રીતે ફેલાઈ?

આ વિવાદની શરૂઆત લોકપ્રિય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ફૈઝાન અંસારીના એક વીડિયો બાદ થઈ હતી. ફૈઝાને વીડિયોમાં આરોપ લગાવ્યો હતો કે ઉર્ફી જાવેદ વારંવાર ઇસ્લામ અને કુરાનનું અપમાન કરે છે. તેણે દાવો કર્યો કે મુસ્લિમ સમુદાયે મળીને નિર્ણય લીધો છે કે ઉર્ફીને ઇસ્લામમાંથી કાઢી મૂકવામાં આવે અને હવે તેને ઉર્ફી જાવેદ નહીં પરંતુ ગીતા ભારદ્વાજ કહેવાશે.

ફૈઝાને વધુમાં એવું પણ કહ્યું હતું કે તેણે એક મૌલવીને લેખિત પત્ર મોકલીને આ મુદ્દે જલ્દી આદેશ જાહેર કરવાની અપીલ કરી છે. જોકે, આ તમામ દાવાઓ માટે કોઈ અધિકૃત પુરાવો સામે આવ્યો નથી.

ઉર્ફીના અગાઉના નિવેદનો પણ રહ્યા છે વિવાદમાં

ઉર્ફી જાવેદ અગાઉ પણ પોતાના નિવેદનોને કારણે વિવાદમાં રહી છે. તેણે ઘણી વખત જાહેરમાં કહ્યું છે કે ધર્મ કોઈ પર થોપવો ન જોઈએ. એક ઇન્ટરવ્યુમાં તેણે એવો પણ દાવો કર્યો હતો કે ઇસ્લામમાં પુરુષો મહિલાઓ પર નિયંત્રણ રાખે છે અને તેમને પૂરતી આઝાદી મળતી નથી. આ નિવેદન બાદ પણ સોશિયલ મીડિયા પર ભારે પ્રતિક્રિયા જોવા મળી હતી.

હાલમાં, ઉર્ફી જાવેદે સ્પષ્ટ કર્યું છે કે તેના નામ બદલવા કે ધર્મમાંથી તગેડી મૂકવાની વાત માત્ર અફવા છે અને તે પોતાને કોઈ પણ ધર્મ સાથે જોડતી નથી.

તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.

whatsapp Join WhatsApp Group
Exit mobile version