ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનીને આજે અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. તેહરાનના ઈમામ ખુમૈની ગ્રાન્ડ મુસલ્લામાં શુક્રવારથી શરૂ થયેલા સરકારી શ્રદ્ધાંજલિ સમારોહમાં લાખો લોકો ઉમટી પડ્યા છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાન, ચીફ જસ્ટિસ ગુલામ-હુસૈન મોહસેની-એજેઈ, સંસદ અધ્યક્ષ બાઘેર ગાલિબાફ સહિત દેશના ટોચના નેતાઓએ ખામેનીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
સુરક્ષા કારણોસર ખામેનીના પુત્ર મોજતબા ખામેની જાહેર કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતા. ઈરાની મીડિયા મુજબ અંતિમ સંસ્કારના કાર્યક્રમમાં 100થી વધુ દેશોના પ્રતિનિધિમંડળો સામેલ થયા છે. જોકે ભારત, રશિયા, ચીન અને તુર્કીયે જેવા દેશોએ પોતાના ટોચના નેતાઓને મોકલ્યા નથી અને નીચલા સ્તરના પ્રતિનિધિઓ દ્વારા હાજરી નોંધાવી છે.
ભારત તરફથી વિદેશ રાજ્ય મંત્રી પબિત્ર માર્ગેરિટા અને બિહારના રાજ્યપાલ સૈયદ અતા હસનૈન સત્તાવાર પ્રતિનિધિ તરીકે સમારોહમાં હાજર રહ્યા છે. જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ, આર્મી ચીફ આસિમ મુનીર, તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિ ઈમોમાલી રહેમાન, આર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પાશિનયાન અને જ્યોર્જિયાના રાષ્ટ્રપતિ મિખાઈલ કાવેલાશવિલી સહિત અનેક દેશોના ટોચના નેતાઓ તેહરાન પહોંચ્યા છે.
શ્રદ્ધાંજલિ સમારોહમાં ભાવુક દૃશ્યો
શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન હજારો મહિલાઓ હાથથી વણાયેલા સુશોભિત ગાલીચા પર ખામેનીની તસવીર લઈને પહોંચી હતી. અનેક લોકો કાળા વસ્ત્રોમાં શિયા પરંપરા મુજબ છાતી કૂટીને શોક વ્યક્ત કરતા જોવા મળ્યા. રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાન પણ શ્રદ્ધાંજલિ આપતી વખતે ભાવુક બની ગયા હતા.
ગુરુવારે મોડી રાત્રે પ્રથમ વખત ખામેનીનો તાબૂત જાહેર દર્શન માટે મૂકવામાં આવ્યો હતો. તે સમયે મોટી સંખ્યામાં સમર્થકો રડી પડ્યા હતા અને અનેક લોકોએ માથું કૂટીને શોક વ્યક્ત કર્યો હતો.
છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ
1. અંતિમ સંસ્કારની સત્તાવાર શરૂઆત
ખામેનીનો તાબૂત તેહરાનના ઈમામ ખુમૈની ગ્રાન્ડ મુસલ્લા પહોંચાડવામાં આવ્યો, જ્યાં દેશ-વિદેશના પ્રતિનિધિઓએ અંતિમ શ્રદ્ધાંજલિ આપી. તેમના પરિવારના અન્ય સભ્યોને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
2. તેહરાનમાં કડક સુરક્ષા વ્યવસ્થા
રાજધાનીના તમામ મુખ્ય રસ્તાઓ, ચોક, સરકારી ઇમારતો અને કાર્યક્રમ સ્થળો પર સેના અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સૈન્ય વાહનો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે.
3. લાખો શ્રદ્ધાળુઓ માટે વિશેષ સુવિધાઓ
સામાન્ય લોકો માટે મેટ્રો અને સરકારી બસ સેવા મફત રાખવામાં આવી છે. હોટલોમાં 50 ટકા સુધી ભાડામાં રાહત આપવામાં આવી છે. 5,000થી વધુ શાળાઓ અને 40થી 50 હજાર વર્ગખંડોને શ્રદ્ધાળુઓના રોકાણ માટે તૈયાર કરવામાં આવ્યા છે. આજે માત્ર તેહરાનમાં જ 1 કરોડથી વધુ લોકો પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
4. પાંચ શહેરોમાંથી પસાર થશે અંતિમ યાત્રા
ખામેનીની અંતિમ યાત્રા તેહરાનથી શરૂ થઈને કોમ, ત્યારબાદ ઈરાકના કરબલા અને નજફ થઈ મશહદ પહોંચશે. 9 જુલાઈએ ઈમામ રઝાની દરગાહ નજીક તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે.
5. અમેરિકા-ઈરાન વાટાઘાટો પર નજર
કતરના જણાવ્યા અનુસાર અંતિમ સંસ્કાર પૂર્ણ થયા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચેની પરમાણુ વાટાઘાટોનો આગામી રાઉન્ડ શરૂ થઈ શકે છે. જોકે ઈરાને IAEAને ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાનના પરમાણુ કેન્દ્રોના નિરીક્ષણની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે.
તાલિબાન અને તેના વિરોધી નેતાઓ એક જ મંચ પર
આ સમારોહનું સૌથી ચર્ચાસ્પદ પાસું એ રહ્યું કે તાલિબાન સરકારના પ્રતિનિધિઓ અને તાલિબાન વિરોધી નેતાઓ બંને એક જ કાર્યક્રમમાં હાજર રહ્યા. તાલિબાન તરફથી ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર મુલ્લા અબ્દુલ ગની બરાદર અને કાર્યકારી વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી હાજર રહ્યા, જ્યારે નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (NRF)ના વડા અહેમદ મસૂદ અને ઇસ્લામિક યુનિટી પાર્ટીના નેતા મોહમ્મદ મોહાકિક પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા.
બંને વિરોધી જૂથોની હાજરી બાદ સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થયો છે. તાલિબાન સમર્થકોએ ઈરાન પર બેવડી નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો છે.
ઈમામ રઝાની દરગાહ પાસે થશે દફનવિધિ
ઈરાની મીડિયા મુજબ ખામેનીની અંતિમ ઈચ્છા મશહદ સ્થિત ઈમામ રઝાની દરગાહ નજીક દફન થવાની હતી. શિયા ઇસ્લામમાં આ સ્થળ અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે. 9 જુલાઈએ તેમની દફનવિધિ અહીં કરવામાં આવશે.
ખામેનીના ઘર જેવી તૈયાર કરાઈ શ્રદ્ધાંજલિની વ્યવસ્થા
તેહરાનના ગ્રાન્ડ મુસલ્લામાં બનાવાયેલો મુખ્ય મંચ ખામેનીના પૂર્વ સત્તાવાર નિવાસસ્થાનની નકલ તરીકે તૈયાર કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરીમાં થયેલા હવાઈ હુમલામાં નષ્ટ થયેલા તેમના નિવાસસ્થાનની વાદળી ટાઇલ્સ અને ઇસ્લામિક કોતરણી જેવી જ ડિઝાઇન અહીં ઉભી કરવામાં આવી છે. ઈરાનનું કહેવું છે કે આ પ્રતીકાત્મક વ્યવસ્થા દ્વારા ખામેનીના વારસાને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ટ્રમ્પનું નિવેદન
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ ડાકોટામાં યોજાયેલી સભામાં જણાવ્યું કે અમેરિકા દ્વારા ઈરાનને માનવતાના ધોરણે અંતિમ સંસ્કાર પૂર્ણ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો કે ત્યારબાદ ઈરાને અમેરિકાની શરતો સ્વીકારવી પડશે. ટ્રમ્પના આ નિવેદન પર ઈરાની સંસદ અધ્યક્ષ બાઘેર ગાલિબાફે પલટવાર કરતા કહ્યું કે અમેરિકા પહેલા પોતાની આંતરિક સ્થિતિ પર ધ્યાન આપે.
ભીડ માટે વિશાળ આયોજન
ઈરાની સરકારના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન 1.5થી 2 કરોડ લોકો અંતિમ સંસ્કારમાં ભાગ લઈ શકે છે. તેમના માટે 5 કરોડ રોટલીઓ બનાવવાની તૈયારી કરવામાં આવી છે. 16 મોબાઇલ બેકરી, 6,000થી વધુ વોટર સ્પ્રિંકલર, 2,500 એમ્બ્યુલન્સ, 21 હેલિકોપ્ટર, 100 ડ્રોન અને હજારો બચાવકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત 24થી વધુ હોસ્પિટલો, લાખો લીટર તબીબી પ્રવાહી અને હજારો આશ્રયસ્થાનો તૈયાર રાખવામાં આવ્યા છે.
સરકારે લોકોને અપીલ કરી છે કે તેઓ બહારથી આવતા શ્રદ્ધાળુઓને પોતાના ઘરોમાં પણ આશરો આપે. મસ્જિદો, શાળાઓ, રમતગમત સંકુલો અને સાંસ્કૃતિક કેન્દ્રોમાં પણ રોકાણની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group