વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ઇન્ડોનેશિયાના સત્તાવાર પ્રવાસે રવાના થયા છે. પ્રવાસ દરમિયાન તેઓ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે તેમજ વિશ્વવિખ્યાત પ્રમ્બાનન હિન્દુ મંદિર સંકુલની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે આશરે ₹2,500 કરોડના બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ સોદા પર મહોર લાગવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેની આ બેઠકમાં સંરક્ષણ સહયોગ, દરિયાઈ સુરક્ષા, વેપાર, રોકાણ, ડિજિટલ ભાગીદારી તેમજ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વ્યૂહાત્મક સહકાર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે. બંને દેશો અનેક દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર પણ કરી શકે છે, જેનાથી બંને દેશોના સંબંધોને નવી દિશા મળવાની આશા છે.
વ્યૂહાત્મક ભાગીદારીને મળશે નવી ગતિ
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સંરક્ષણ, વેપાર, કનેક્ટિવિટી અને દરિયાઈ સુરક્ષાના ક્ષેત્રમાં સહયોગ સતત મજબૂત બન્યો છે. વડાપ્રધાન મોદાનો આ પ્રવાસ બંને દેશોની કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.
મોદીનો ઇન્ડોનેશિયાનો ત્રીજો પ્રવાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ બે વખત ઇન્ડોનેશિયાની મુલાકાત લઈ ચૂક્યા છે.
- મે 2018માં થયેલા પ્રથમ પ્રવાસ દરમિયાન ભારત અને ઇન્ડોનેશિયાએ સંબંધોને કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો દરજ્જો આપ્યો હતો.
- આ પ્રવાસ દરમિયાન રક્ષા, દરિયાઈ સુરક્ષા, આતંકવાદ વિરોધી સહયોગ, વેપાર, ડિજિટલ અર્થતંત્ર, વિજ્ઞાન-ટેક્નોલોજી અને કનેક્ટિવિટી સહિત 15થી વધુ કરારો પર સહમતિ થઈ હતી.
- ત્યારબાદ સપ્ટેમ્બર 2023માં મોદી જકાર્તામાં યોજાયેલી 20મી ASEAN-ભારત સમિટ અને 18મી ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેવા ઇન્ડોનેશિયા પહોંચ્યા હતા.
ઇન્ડોનેશિયા બ્રહ્મોસ ખરીદનાર બીજો દેશ બની શકે
આ પ્રવાસનું સૌથી મહત્વપૂર્ણ આકર્ષણ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે થનારી આશરે ₹2,500 કરોડની બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ડીલ માનવામાં આવી રહી છે.
જો આ કરાર પર અંતિમ મહોર લાગે છે, તો ફિલિપાઇન્સ પછી ઇન્ડોનેશિયા બ્રહ્મોસ ખરીદનાર બીજો વિદેશી દેશ બનશે. આ સોદાથી ભારતના સંરક્ષણ નિકાસ ક્ષેત્રને મોટો ફાયદો થશે, જ્યારે ઇન્ડોનેશિયાની દરિયાઈ સુરક્ષા અને તટીય સંરક્ષણ ક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો થશે.
બ્રહ્મોસ મિસાઇલનો વિકાસ ભારતના DRDO અને રશિયાની NPO Mashinostroyeniaના સંયુક્ત સાહસ બ્રહ્મોસ એરોસ્પેસ દ્વારા કરવામાં આવ્યો છે. બ્રહ્મોસ વિશ્વની સૌથી ઝડપી ઓપરેશનલ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલોમાંની એક ગણાય છે.
સાબાંગ પોર્ટ ભારત માટે કેમ મહત્વનું?
ઇન્ડોનેશિયાનું સાબાંગ પોર્ટ ભારતના અંદમાન-નિકોબાર દ્વીપસમૂહની નજીક અને મલક્કા સ્ટ્રેટના પ્રવેશદ્વાર પાસે આવેલું હોવાથી વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
વિશ્વના મોટા ભાગનો દરિયાઈ વેપાર મલક્કા સ્ટ્રેટમાંથી પસાર થાય છે. વર્ષ 2018માં બંને દેશોએ સાબાંગ પોર્ટના વિકાસ, લોજિસ્ટિક્સ સહયોગ, દરિયાઈ કનેક્ટિવિટી અને સુરક્ષા વધારવા માટે સહમતિ વ્યક્ત કરી હતી.
આ બંદર ભારતીય નૌકાદળના જહાજોને બળતણ, સમારકામ અને લોજિસ્ટિક્સ સહાય પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે, જેના કારણે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતની વ્યૂહાત્મક હાજરી વધુ મજબૂત બની શકે છે.
પ્રમ્બાનન મંદિરની મુલાકાત પણ રહેશે ખાસ
પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી પ્રમ્બાનન હિન્દુ મંદિર સંકુલની મુલાકાત પણ લેશે. રાજધાની જકાર્તાથી લગભગ 400 કિલોમીટર દૂર મધ્ય જાવા પ્રાંતમાં આવેલું આ મંદિર ઇન્ડોનેશિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર છે.
આ મંદિર ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્માને સમર્પિત છે અને સમગ્ર સંકુલમાં કુલ 240 મંદિરો આવેલા છે. તેમાં ભગવાન શિવને સમર્પિત મુખ્ય મંદિર લગભગ 47 મીટર (154 ફૂટ) ઊંચું છે.
વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં ઇન્ડોનેશિયામાં હિન્દુ-બૌદ્ધ સંસ્કૃતિની ઊંડી અસર આજે પણ જોવા મળે છે. પ્રમ્બાનન મંદિર ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના પ્રાચીન સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોનું જીવંત પ્રતીક માનવામાં આવે છે.
ભારત-ઇન્ડોનેશિયા સંબંધોને મળશે નવી ઊંચાઈ
વડાપ્રધાન મોદાનો આ પ્રવાસ માત્ર સંરક્ષણ અને વેપાર સુધી સીમિત નથી, પરંતુ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ પણ છે. બ્રહ્મોસ ડીલ, સાબાંગ પોર્ટ સહયોગ અને સાંસ્કૃતિક વારસાના પ્રતીક પ્રમ્બાનન મંદિરની મુલાકાત આ પ્રવાસને રાજકીય, વ્યૂહાત્મક અને સાંસ્કૃતિક – ત્રણેય દ્રષ્ટિએ ઐતિહાસિક બનાવી શકે છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group