નવી દિલ્હી: ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ 5 જુલાઈએ એક નિવેદન આપ્યું, જેની આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે ચર્ચા થઈ રહી છે. તેમણે કહ્યું કે, “માત્ર અમેરિકા જ નહીં, પરંતુ અમારા કેટલાક અન્ય મિત્રો પણ છે, જેમ કે 1.4 અબજની વસ્તી ધરાવતું ભારત.” આ નિવેદન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના તે દાવાના જવાબમાં આવ્યું હતું, જેમાં વેન્સે કહ્યું હતું કે અમેરિકા જ ઇઝરાયેલનો એકમાત્ર શક્તિશાળી મિત્ર છે.
પરંતુ સવાલ એ છે કે નેતન્યાહુએ ખાસ ભારતનો જ ઉલ્લેખ કેમ કર્યો? તેનો જવાબ બંને દેશો વચ્ચે છેલ્લા અનેક દાયકાથી વિકસેલા વિશ્વાસ, સંરક્ષણ સહયોગ, વેપાર અને વ્યૂહાત્મક ભાગીદારીમાં છુપાયેલો છે.
1962ના યુદ્ધથી શરૂ થઈ હતી ગુપ્ત મદદ
ભારત અને ઇઝરાયેલ વચ્ચે સત્તાવાર રાજદ્વારી સંબંધો 1992માં સ્થાપિત થયા હતા, પરંતુ તે પહેલાંથી જ બંને દેશો વચ્ચે વિશ્વાસનો સંબંધ હતો. 1962ના ભારત-ચીન યુદ્ધ દરમિયાન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ઇઝરાયેલના વડાપ્રધાન ડેવિડ બેન ગુરિયન પાસે હથિયારોની મદદ માંગી હતી. ઇઝરાયેલે ભારતને હથિયારો અને દારૂગોળો મોકલ્યો હતો. ભારતે આરબ દેશોની નારાજગી ટાળવા માટે ધ્વજ વગરના જહાજોમાં હથિયારો મોકલવાની વિનંતી કરી હતી, પરંતુ ઇઝરાયેલે પોતાના ધ્વજવાળા જહાજો દ્વારા જ સપ્લાય પહોંચાડ્યો હતો.
1965, 1971 અને કારગિલમાં પણ ભારતની સાથે ઊભું રહ્યું
1965 અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પણ ઇઝરાયેલે ભારતને મોર્ટાર અને દારૂગોળાની ગુપ્ત મદદ કરી હતી. ત્યારબાદ 1999ના કારગિલ યુદ્ધમાં ઇઝરાયેલે લેઝર-ગાઇડેડ બોમ્બ, ડ્રોન, સર્વેલન્સ સિસ્ટમ અને સેટેલાઇટ તસવીરો આપીને ભારતીય સેનાને મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. આ ટેક્નોલોજીના કારણે પાકિસ્તાની બંકરો પર ચોક્કસ હુમલા શક્ય બન્યા હતા.
1992 પછી સંબંધોમાં આવ્યો મોટો વળાંક
ભારતે 1950માં ઇઝરાયેલને રાષ્ટ્ર તરીકે માન્યતા આપી હતી, પરંતુ સંપૂર્ણ રાજદ્વારી સંબંધો 1992માં વડાપ્રધાન પી.વી. નરસિંહ રાવના કાર્યકાળમાં સ્થાપિત થયા. ત્યારથી બંને દેશોમાં દૂતાવાસ શરૂ થયા અને રાજકીય, આર્થિક તથા સંરક્ષણ સંબંધોમાં સતત વધારો થયો.
મોદી સરકારમાં સંબંધો વધુ મજબૂત બન્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2017માં ઇઝરાયેલની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા હતા. ત્યારબાદ ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ પણ ભારતની મુલાકાત લીધી હતી. 7 ઓક્ટોબર 2023ના હમાસ હુમલા બાદ ભારતે આતંકવાદની નિંદા કરી અને ઇઝરાયેલ પ્રત્યે એકતા વ્યક્ત કરી હતી. જોકે, ભારતે હંમેશા સંતુલિત વિદેશ નીતિ અપનાવી છે અને પેલેસ્ટાઇન સંબંધિત મુદ્દાઓ પર પોતાનું સ્વતંત્ર વલણ જાળવી રાખ્યું છે.
સંરક્ષણ ક્ષેત્રમાં ભારત સૌથી મોટો ભાગીદાર
સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI)ના આંકડા મુજબ 2020થી 2024 દરમિયાન ઇઝરાયેલના કુલ હથિયાર નિકાસમાં ભારતનો હિસ્સો લગભગ 34 ટકા રહ્યો હતો. ભારત ઇઝરાયેલ પાસેથી ડ્રોન, રડાર, સર્વેલન્સ સિસ્ટમ, બરાક-8 મિસાઇલ, સ્પાઇડર એર ડિફેન્સ સિસ્ટમ, ગાઇડેડ બોમ્બ અને અન્ય આધુનિક શસ્ત્રો ખરીદે છે.
વેપાર અને રોકાણમાં પણ વધી રહી છે ભાગીદારી
1992માં બંને દેશો વચ્ચેનો વેપાર માત્ર 202 મિલિયન ડોલર હતો, જે 2022-23 સુધીમાં વધીને 10.77 બિલિયન ડોલર (લગભગ 1 લાખ કરોડ રૂપિયા) થયો હતો. ટાટા, અદાણી, ટેક મહિન્દ્રા, સન ફાર્મા અને SBI જેવી ભારતીય કંપનીઓએ પણ ઇઝરાયેલમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે. હાઇફા પોર્ટનું સંચાલન અદાણી ગ્રુપ કરે છે અને બંને દેશો ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ સંયુક્ત સંરક્ષણ ઉત્પાદન પણ કરી રહ્યા છે.
નેતન્યાહુના નિવેદનના શું અર્થ?
વિદેશ નીતિના જાણકારો માને છે કે નેતન્યાહુના નિવેદન પાછળ ત્રણ મુખ્ય સંદેશ છે. પ્રથમ, તેઓ બતાવવા માંગે છે કે ઇઝરાયેલ આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું નથી અને ભારત જેવા મહત્વપૂર્ણ મિત્ર તેની સાથે છે. બીજું, ઘરેલું રાજકારણમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાની તેમની કોશિશ છે. ત્રીજું, આ નિવેદન ભારત માટે પડકારરૂપ બની શકે છે, કારણ કે ભારત હંમેશા ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે સંતુલિત નીતિ અપનાવતું આવ્યું છે.
ભારતની નીતિ સંતુલિત રહી
ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં ઇઝરાયેલ સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત બનાવી છે, પરંતુ સાથે જ પેલેસ્ટાઇનના મુદ્દે પણ સંતુલિત અભિગમ જાળવી રાખ્યો છે. ઇઝરાયેલ-ઇરાન તણાવ હોય કે સંયુક્ત રાષ્ટ્રમાં વિવિધ ઠરાવો, ભારતે પોતાના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને સ્વતંત્ર વિદેશ નીતિ અપનાવી છે. આ જ કારણ છે કે ભારત આજે પશ્ચિમ એશિયાના લગભગ તમામ મોટા દેશો સાથે મજબૂત સંબંધો જાળવી રાખવામાં સફળ રહ્યું છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group