રાજ્ય સરકાર દ્વારા વધતા સરકારી ખર્ચ અને પેટ્રોલ-ડીઝલના વધતા વપરાશને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગત સપ્તાહે યોજાયેલી કેબિનેટ બેઠક બાદ સામાન્ય વહીવટ વિભાગે સત્તાવાર પરિપત્ર જાહેર કરીને 11 નવા નિયમો અમલમાં મૂક્યા છે. નવા નિયમો મુજબ હવે નેતાઓ અને અધિકારીઓના બિનજરૂરી વિદેશ પ્રવાસ પર રોક લગાવવામાં આવશે તેમજ સરકારી કાર્યપદ્ધતિમાં ટેક્નોલોજી આધારિત વ્યવસ્થાને પ્રોત્સાહન આપવામાં આવશે.
સરકારના આ નિર્ણય પાછળ ઈંધણ બચત, ખર્ચમાં ઘટાડો અને કાર્યક્ષમ વહીવટ મુખ્ય હેતુ હોવાનું માનવામાં આવે છે.
વિદેશ પ્રવાસ અને સરકારી ખર્ચ પર કડક નિયંત્રણ
નવી ગાઈડલાઈન મુજબ હવે અનિવાર્ય પરિસ્થિતિ સિવાય કોઈપણ પ્રકારના વિદેશ પ્રવાસનું આયોજન નહીં કરવામાં આવે. સાથે જ વિદેશમાં યોજાતી તાલીમ, પરિસંવાદ, અભ્યાસ પ્રવાસ અને કોન્ફરન્સમાં ભાગ લેવાનું પણ ટાળવા સૂચના આપવામાં આવી છે.
અન્ય રાજ્યો અથવા કેન્દ્ર સરકારની બેઠકોમાં શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન માધ્યમથી જોડાવા માટે કહેવામાં આવ્યું છે. જો પ્રવાસ અનિવાર્ય બને તો ઉચ્ચ અધિકારીઓએ હાથ નીચેના સ્ટાફને સાથે ન રાખવા સૂચના આપવામાં આવી છે.
વીડિયો કોન્ફરન્સ અને ઓનલાઈન સિસ્ટમ પર ભાર
સરકારે તમામ વિભાગોને ટેલિફોન, ઈ-મેઈલ, વીડિયો કોન્ફરન્સિંગ અને ઓનલાઈન મિટિંગનો વધુમાં વધુ ઉપયોગ કરવા જણાવ્યું છે. અધિકારીઓ અને કર્મચારીઓને બિનજરૂરી જિલ્લા બહારની મુસાફરી ટાળવા અને જરૂરી હોય તો નિયંત્રણ અધિકારીની પૂર્વ મંજૂરી લેવાની ફરજિયાત કરવામાં આવી છે.
વધારાના સરકારી વાહનો પર કાર્યવાહી
સરકાર દ્વારા ઉપલબ્ધ વાહનોની સમીક્ષા કરીને વધારાના વાહનો ‘વ્હીકલ પુલ’માં જમા કરાવવા આદેશ આપવામાં આવ્યો છે. જે અધિકારીઓ એકથી વધુ વિભાગનો હવાલો સંભાળે છે, તેમને એક મુખ્ય વાહન સિવાયના અન્ય તમામ વાહનો પરત આપવા પડશે.
સાથે જ ઈલેક્ટ્રિક અને હાઈબ્રિડ વાહનોના ઉપયોગને પ્રાથમિકતા આપવા પર ભાર મૂકાયો છે. અધિકારીઓને મેટ્રો, એસ.ટી. બસ અને રેલવે જેવી જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવા પણ અપીલ કરવામાં આવી છે.
સરકારી કેન્ટીનમાં PNG ફરજિયાત
તમામ સરકારી કેન્ટીનમાં આગામી 6 મહિનામાં PNG કનેક્શન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ઉપરાંત, સરકારી ખરીદીમાં સ્થાનિક ઉત્પાદન, MSME અને સ્વદેશી વસ્તુઓને પ્રાથમિકતા આપવા સૂચના અપાઈ છે.
વર્ચ્યુઅલ કાર્યક્રમો અને સાદગી પર ભાર
લોકાર્પણ અને સરકારી કાર્યક્રમો હવે સાદગીપૂર્ણ રીતે યોજવા માટે સૂચના આપવામાં આવી છે. શક્ય હોય ત્યાં સુધી કાર્યક્રમો વર્ચ્યુઅલ મોડમાં યોજવા માટે પણ કહેવામાં આવ્યું છે.
સરકાર દ્વારા લોકોને ગભરાટમાં આવીને સંગ્રહખોરી ન કરવા અને જાગૃતિ ફેલાવવા અભિયાન ચલાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
‘વર્ક ફ્રોમ હોમ’ મોડલ પર સરકારનો વિચાર
શ્રમ અને રોજગાર મંત્રીએ જણાવ્યું હતું કે, કોર્પોરેટ સેક્ટરમાં ‘વર્ક ફ્રોમ હોમ’ મોડલને પ્રોત્સાહન આપવા માટે ખાનગી કંપનીઓ અને ઉદ્યોગ સંગઠનો સાથે ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને મોટા શહેરોમાં ઓફિસ જવા-આવવાના કારણે પેટ્રોલ-ડીઝલનો વ્યાપક વપરાશ થાય છે, જેને ઘટાડવા માટે ઓનલાઈન કાર્યપદ્ધતિ અસરકારક બની શકે છે.
CM ભૂપેન્દ્ર પટેલે આપ્યું ઉદાહરણ
રાજ્ય સરકારે CM અને DyCM સિવાય અન્ય મંત્રીઓને કોન્વોય સુવિધાથી દૂર રાખવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં મુખ્યમંત્રી Bhupendra Patel માત્ર બે કારના કાફલા સાથે અમરેલીના રાજુલા પહોંચ્યા હતા, જેને ‘વીઆઈપી કલ્ચર’ ઘટાડવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.
PM મોદીની અપીલ બાદ નિર્ણય
વડાપ્રધાન Narendra Modiએ તાજેતરમાં વડોદરામાં યોજાયેલા કાર્યક્રમમાં દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો ઓછો ઉપયોગ કરવા, મેટ્રો અને પબ્લિક ટ્રાન્સપોર્ટ અપનાવવા તેમજ વર્ક ફ્રોમ હોમ અને વર્ચ્યુઅલ મિટિંગને પ્રાથમિકતા આપવા અપીલ કરી હતી.
PM મોદીએ કહ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક સંકટને ધ્યાનમાં રાખીને દેશે ઈંધણ બચત તરફ ગંભીરતાથી આગળ વધવું પડશે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group