આપણું ભારત ગ્લોબલ ન્યુઝ

અમદાવાદમાં ઇબોલા એલર્ટ: યુગાન્ડાથી આવેલા 11 લોકો હોમ આઇસોલેશનમાં, AMCની કડક તૈયારીઓ; એરપોર્ટ પર સઘન સ્ક્રીનિંગ શરૂ

આફ્રિકન દેશો યુગાન્ડા, સાઉથ સુદાન અને કોંગોમાં ઇબોલા વાયરસના વધતા ખતરા વચ્ચે અમદાવાદમાં આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. AMCના આરોગ્ય વિભાગે રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ ખાસ તકેદારી હાથ ધરી છે. હાલમાં યુગાન્ડાથી અમદાવાદ આવેલા 11 લોકોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જોકે, આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો જોવા મળ્યા નથી અને કોઈ પણ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હોવાનો પુરાવો નથી.

યુગાન્ડાથી આવેલા 11 લોકો પર નજર, તમામ હોમ આઇસોલેશનમાં

AMC આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ દિવસ દરમિયાન યુગાન્ડાથી આવેલા 11 લોકો અમદાવાદ પહોંચ્યા છે. જેમાં પશ્ચિમ વિસ્તારમાં થલતેજના 10 અને જોધપુર વિસ્તારના 1 નાગરિકનો સમાવેશ થાય છે. તમામને સાવચેતીના ભાગરૂપે તેમના ઘરે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

AMCના આરોગ્ય અધિકારી ડૉ. ભાવિન સોલંકીએ જણાવ્યું કે ઇબોલા સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન રાજ્ય આરોગ્ય વિભાગ, સિવિલ હોસ્પિટલ અને એરપોર્ટ સત્તાધિકારીઓ સાથે સંકલનમાં કામગીરી કરી રહ્યું છે.

તેમણે જણાવ્યું કે જો યુગાન્ડા, કોંગો અથવા સાઉથ સુદાનમાંથી કોઈ મુસાફર આવે અને તેને લક્ષણો ન હોય તથા પોઝિટિવ દર્દીના સંપર્કમાં ન આવ્યો હોય તો તેને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવશે. જ્યારે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવામાં આવશે.

SVP હોસ્પિટલમાં 60 બેડનો ખાસ ક્વોરન્ટીન વોર્ડ તૈયાર

ઇબોલાની શક્ય પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદની SVP હોસ્પિટલમાં 60 બેડનો અલગ ક્વોરન્ટીન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જો કોઈ મુસાફરમાં લક્ષણો જોવા મળે તો તેને સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરવામાં આવશે.

આરોગ્ય વિભાગે હાલની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે અમદાવાદમાં હજુ સુધી ઇબોલાનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કડક આરોગ્ય નિયમો અમલમાં

ઇબોલા વાયરસ ડિસીઝ (EVD)ને કારણે ઊભી થયેલી વૈશ્વિક ચિંતા વચ્ચે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે તાત્કાલિક જાહેર આરોગ્ય પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે. રોગના આયાત અને ફેલાવાના જોખમને ઘટાડવા માટે DGCA અને સિવિલ એવિએશન મંત્રાલય દ્વારા તમામ એરલાઇન્સ માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ (SDF) ફરજિયાત બનાવાયું છે.

માર્ગદર્શિકા મુજબ તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં દરેક મુસાફરે SDF ફોર્મ ભરવું ફરજિયાત રહેશે. ફ્લાઇટમાં આગમન પહેલાં આરોગ્ય સંબંધિત જાહેરાતો કરવામાં આવશે જેથી એરપોર્ટ પર ભીડ ટળી શકે અને સંક્રમણનું જોખમ ઓછું થાય.

એરપોર્ટ પર 24×7 આરોગ્ય કર્મચારીઓ, સઘન સ્ક્રીનિંગ શરૂ

અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇબોલા પ્રભાવિત દેશોમાંથી આવતા મુસાફરો માટે વિશેષ સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે. સાંજે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનથી આવતા તમામ મુસાફરોની સઘન આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે.

આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ ખાસ સ્ક્રીનિંગ માત્ર પ્રભાવિત દેશોમાંથી આવતા મુસાફરો માટે જ છે. સામાન્ય મુસાફરો માટે કોઈ વધારાની કાર્યવાહી અથવા ચિંતાની જરૂર નથી.

આગમન વિસ્તારમાં 24 કલાક ફરજ પર ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓ તૈનાત રાખવામાં આવ્યા છે અને તમામ હિસ્સેદારોને ચેપ નિવારણ અને નિયંત્રણ માટે SOPનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

MOCA એર સુવિધા પોર્ટલ લાવી શકે

મુસાફરો માટે પ્રક્રિયા વધુ સરળ બનાવવા આગામી સમયમાં MOCA દ્વારા એર સુવિધા પોર્ટલ શરૂ કરવામાં આવી શકે છે. ત્યાં સુધી તમામ એરલાઇન્સ અને સંબંધિત એજન્સીઓને SDF ફોર્મ તથા અન્ય આરોગ્ય પ્રક્રિયાનો કડક અમલ ચાલુ રાખવા કહેવામાં આવ્યું છે.

ઇબોલા શું છે અને કેટલો ખતરનાક છે?

ઇબોલા વાયરસ ડિસીઝ (EVD) અત્યંત જીવલેણ સંક્રમણ માનવામાં આવે છે. દર્દીઓમાં મૃત્યુદર 25 ટકાથી લઈને 90 ટકા સુધી નોંધાયો છે. આ વાયરસ પ્રથમ વખત 1976માં સુદાન અને તત્કાલીન ઝાયર એટલે કે હાલના ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં જોવા મળ્યો હતો.

કોંગોમાં જ્યાં પ્રથમ વખત આ વાયરસ મળ્યો હતો, તેની નજીક વહેતી ઇબોલા નદી પરથી તેનું નામ ‘ઇબોલા’ રાખવામાં આવ્યું હતું. સંક્રમિત વ્યક્તિના લોહી, ઉલટી અથવા શરીરના અન્ય પ્રવાહી પદાર્થોના સંપર્કથી આ રોગ ફેલાય છે.

કોંગોમાં ઇબોલાનો કહેર, 80 મોત અને 246 શંકાસ્પદ કેસ

કોંગોના પૂર્વીય ઇટુરી પ્રાંતમાં ઇબોલાનો પ્રકોપ ગંભીર બન્યો છે. અત્યાર સુધીમાં 80 લોકોના મોત થયા હોવાનું અને 246 શંકાસ્પદ કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. પ્રથમ કેસ એક નર્સનો હોવાનું માનવામાં આવે છે, જેનું 24 એપ્રિલે મૃત્યુ થયું હતું.

આ રોગ બુનિયા, રવામપારા અને મોંગવાલુ વિસ્તારો સુધી ફેલાયો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ વખતે ઇબોલાનો બુંડીબુગ્યો સ્ટ્રેન જોવા મળ્યો છે, જ્યારે અગાઉ કોંગોમાં મોટાભાગે ઝાયર સ્ટ્રેનના કેસ મળતા હતા. આ બાબત ચિંતા વધારનારી છે કારણ કે હાલ ઉપલબ્ધ ઘણી રસી અને સારવાર ઝાયર સ્ટ્રેનને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે.

જોકે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આ સ્થિતિને વૈશ્વિક આરોગ્ય ઇમરજન્સી તરીકે જોવાની જરૂરિયાત દર્શાવી છે, તે હજુ મહામારીની શ્રેણીમાં આવતી નથી. અમદાવાદમાં આરોગ્ય તંત્ર સતર્ક છે અને હાલ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.

whatsapp Join WhatsApp Group
Exit mobile version